સિંગાપુર, તા.7 : ભારતીય નૌસેનાએ ચીનની મેલીમુરાદને કાબૂમાં રાખવા માટે દક્ષિણ ચીન સાગરમાં પૂર્વી બેડાં તૈનાત કરી દીધા છે. આખો ખુલાસો તાજેતરમાં જ ભારતીય નૌસેનાનાં ત્રણ યુદ્ધ જહાજો સિંગાપુર પહોંચ્યા પછી થયો છે.
ઈસ્ટર્ન કમાન્ડનાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રિયર એડમિરલ રાજેશ ધનખડનાં નેતૃત્વમાં ભારતીય નૌકાદળનાં ત્રણ યુદ્ધ જહાજ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ દિલ્હી, દીપક ક્લાસ ફ્લીટ ટેન્કર આઈએનએસ શક્તિ અને એન્ટી સબમરિન વોરફેર કોર્વેટ આઈએનએસ કિલ્ટન 6 મેનાં રોજ સિંગાપુર પહોંચી ગયા હતાં. જ્યાં તેનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનાનાં કહેવા અનુસાર આ યાત્રા દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નૌસેનાનાં પૂર્વ બેડાંનાં સંચાલનની તૈનાતીનો હિસ્સો છે.