નવી દિલ્હી, તા. 8 : શરદ પવારે લોકસભા ચૂંટણી 2024 બાદથી રાજકીય તસવીરને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે સામાન્ય ચૂંટણી બાદ ઘણા ક્ષેત્રિય દળો કોંગ્રેસની નજીક આવી જશે. આ ઉપરાંત અમુક દળ કોંગ્રેસમાં વિલય પણ કરી શકે છે. વિપક્ષના વરિષ્ઠ નેતાઓમાંથી એક શરદ પવારે કહ્યું છે કે આગામી અમુક વર્ષમાં ઘણા દળો કોંગ્રેસમાં સામેલ થશે. જ્યારે શરદ પવારને તેમની પાર્ટી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એક મોટો સંકેત આપ્યો હતો. શરદ પવારે કહ્યું હતું કે તેમણે ક્યારેય એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અંતર જોયું નથી. આ નિવેદનથી અટકળો શરૂ થઈ છે કે શરદ પવાર કોંગ્રેસમાં પોતાની પાર્ટીનો વિલય કરી શકે છે.
શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસ અને પોતાની પાર્ટી વૈચારિક રીતે ગાંધી અને નેહરુની લાઈનને જ માને છે. તેઓ અત્યારથી કંઈ કહેવા માગતા નથી. સાથીઓ સાથે વાત કર્યા વિના આ મામલે આગળ કંઈ પણ કહી શકાય નહી તેમ શરદ પવારે ઉમેર્યું હતું. પવારે આગળ કહ્યું હતું કે, વૈચારિક રીતે તેઓ કોંગ્રેસની નજીક છે. આગળની રણનીતિ કે કોઈ પગલા ઉપર નિર્ણય સામુહિક રીતે જ કરવામાં આવશે.