પહેલગામની
કરુણાન્તિકા પછી સમગ્ર વિશ્વે ભારતીય સેનાનું સિંદૂરી શૌર્ય જોઈ લીધું. આતંકવાદને પોષતા
પાકિસ્તાનના મનસૂબા ઉપર અને તે પ્રવૃત્તિના ઠેકાણાઓ ઉપર સેના કાળ બનીને ત્રાટકી. ગણતરીની
કલાકોમાં એ અડ્ડાઓ ધ્વસ્ત થઈ ગયા અને પાકિસ્તાનના ડ્રોનના દળકટકને આકાશમાંથી ઉતરવા
પણ દેવાયાં નહીં. આ આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે ત્યાં જ દેશ ‘આંતરિક આતંકી’ઓ કહી શકાય
તેવા જાસૂસોની કુચેષ્ટા એક મોટો પડકાર બની રહી છે. ભારતની ગુપ્ત માહિતી સરહદની પેલે
પાર પહોંચાડતા આ દેશદ્રોહીઓના કરતૂત 22મી એપ્રિલ પછી વધારે બહાર આવી રહ્યા છે. વિવિધ
રાજ્યોમાંથી ઝડપાયેલા જાસૂસોની સંખ્યા 25ની આસપાસ થઈ ગઈ છે.
કાશ્મીરમાં
આતંકવાદીઓને મદદ કરનાર સ્થાનિકોને ઝડપી લેવાયા બાદ હવે આ જાસૂસોના કાંડ બહાર આવી રહ્યા
છે. ધાર્મિક કટ્ટરતા, આર્થિક પ્રલોભન જેવા કારણે આવા લોકો આપણી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાને
પહોંચાડી રહ્યા છે. ‘એનઆઈએ’ દ્વારા થોડા દિવસ પહેલાં ‘સીઆરપીએફ’ના અધિકારીને પકડી લેવામાં
આવ્યો હતો. પાકિસ્તાનની સફર એકાધિક વખત કરી ચૂકેલી યૂ ટયૂબરનો વીડિયો સહજ રીતે પ્રાપ્ય
છે. જાણીતો ચહેરો હોવાને લીધે તેની વિગતો ફેલાઈ પણ ગઈ પરંતુ તે સિવાયના પણ દેશવિરોધી
તત્વો છે. કેટલાક તો એવા છે જેમણે દેશના સંવેદનશીલ સ્થળોની વિગતો સરહદ પારના શત્રુ
પાકિસ્તાનને પહોંચાડી હતી. ‘આઈએસઆઈ’ જેવી એજન્સી કે આતંકી સંગઠનોના જાળાં એવા છે જેમાં
ક્યારેક કોઈ ગફલતથી ફસાઈ જાય પરંતુ અહીં વાત તદ્દન જુદી છે.
‘આઈએસઆઈ’ની
દુપ્રવૃત્તિઓ જાણતા હોવા છતાં અહીંના આવા કેટલાક લોકો તેને સહાય કરે છે, તેના વતી કામ
કરે છે. ભારત માટે પાકિસ્તાનની કટૂતા અજાણી નથી. છતાં આવું કામ આપણા દેશમાં રહીને કોઈ
કરે તે ગદ્દારી નહીં તો બીજું શું? આવા તત્વોને તાત્કાલિક સજા થાય તેવી વિશેષ જોગવાઈ
હોવી જોઈએ અને તે સજાની જાણ પણ બુલંદ અવાજે કરવી જોઈએ જેથી અન્યોને પણ ખબર પડે કે રાષ્ટ્રહિતની
સાથે ચેડા કરવાનો અંજામ શું હોઈ શકે? સાથે જ જાગૃતિ પણ ફેલાવવી જોઈએ. કોઈ લોભ-લાલચ
કે કટ્ટરતાને વશ થઈને આવી પ્રવૃત્તિથી દૂર રહેવા માટે યુવાનોને સમજાવવાનું પણ જરૂરી
છે.
ભારતના
કે અન્ય દેશમાં વસતા મુસલમાનોને જેહાદી માનસિકતાનું ઝેર આપીને આ પ્રવૃત્તિમાં જોડાતા
હોવાની વાત તો જૂની છે. હમણા જે કિસ્સા બન્યાં તેમાં કેટલાક હિન્દુઓ પણ પાકિસ્તાન માટે
જાસૂસી કરતા હોવાનું બહાર આવ્યું તે વિશેષ ચિંતાનો વિષય છે.