• રવિવાર, 01 જૂન, 2025

મુર્શિદાબાદની હિંસા : સરકારની નિક્રિયતા,પોલીસનો પક્ષપાત

કાશ્મીરમાં છવ્વીસ નિર્દોષ પ્રવાસીની કરપીણ હત્યા થઈ તે પછી પણ કેટલાક ઉદારમતવાદી લોકોએ હિમાયત કરી કે આતંકીઓનો ખાત્મો ભલે થાય પરંતુ કાશ્મીરીઓનો-કાશ્મીરનો બહિષ્કાર કરવો ન જોઈએ, તેનાથી ફરી ત્યાં આતંકવાદને ઉત્તેજન મળશે. આ દૃષ્ટિકોણ સદંતર ખોટો પણ નથી. પહલગામ પ્રહાર પછી પણ દેશમાં ક્યાંય કોમી હુલ્લડ- છમકલું નથી થયું તે પ્રજાની પરિપક્વતા છે. કાશ્મીરમાં આતંકીઓ કાંડ કરી ગયા તેના પડઘા દેશમાં સેનાને મળેલા સમર્થન રુપે જ પડયા પરંતુ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જે સ્થિતિ થઈ તેના પડઘા હજી શમ્યા નથી. ત્યાં હિન્દુઓ મુશ્કેલીમાં છે. સરકારનું વલણ તટસ્થ-નિષ્પક્ષ હોવું જોઈએ જે નથી. હોય તો તેણે સાબિત કરવું જોઈએ.

કોલકત્તા હાઈકોર્ટે મુર્શિદાબાદમાં થયેલાં દંગલો-હિંસા પછી તપાસ સમિતિની રચના કરી હતી તેમાં ઘણી બાબતો ખૂલ્લી થઈ ગઈ છે. ઉચ્ચ ન્યાયાલયે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, પશ્ચિમ બંગાળ માનવાધિકાર આયોગ તથા રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારીના એક એક સદસ્યવાળી એક સમિતિની રચના કરી તેનો અહેવાલ પણ થોડા દિવસો પૂર્વે રજૂ થયો તેને સૂર એવો છે કે હિંસા હિન્દુવિરોધી હતી અને પૂર્વઆયોજિત હતી. તૃણમૂલ કોંગ્રેસના મુસ્લિમ નેતા અને ધારાસભ્ય, કાઉન્સિલરે આ હિંસક પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું. પીડિતો કે અસરગ્રસ્તોએ મદદ માટે પોલીસને પોકાર કર્યો પરંતુ ન તો હિંસા રોકાઈ કે ન લોકોને સુરક્ષા મળી. 11મી એપ્રિલે થયેલો હુમલો સૌથી ખતરનાક હતો.

બંગાળમાં આ સ્થિતિ લાંબા સમયથી છે, અવારનવાર આવું બનતું આવ્યું છે. હિંસા થાય ત્યારે સરકારનું વલણ એકતરફે હોવાનું પણ નવાઈની વાત નથી. મુર્શિદાબાદમાં જે સ્થિતિ થઈ તે પછી શરૂઆતમાં મહિલાઓ, બાળકોની દર્દીલી દાસ્તાં જાહેર થયા પછી પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી સહાનુભૂતિનો સંદેશ નહોતો. હાઈ કોર્ટ રચિત સમિતિના રિપોર્ટ અનુસાર નવા વકફ સંશોધન બિલના વિરોધના બહાને હિન્દુઓને ઈરાદાપૂર્વક નિશાન બનાવાયા. બેટબોના ગામમાં 113 ઘર સળગાવી દેવાયા. મહિલાઓના કપડાં સળગાવી દેવાયાં. હુમલાખોરોએ પોતાના ચહેરા ઢાંકીને રાખ્યા હતા. આ અને આવી અન્ય ઘટનાઓ સમયે પોલીસ અને પ્રશાસન નિક્રિય રહ્યાં છે. સમિતિના અહેવાલમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની સરકારે કરેલી ઉપેક્ષાનો પણ ઉલ્લેખ છે. હિંસા સુનિયોજિત હતી, આ એક સંગઠિત અપરાધ હતો. અસરગ્રસ્તોને વળતર અને સુરક્ષાની ખાતરી મળવી જોઈએ તેવું પણ ત્રિસદસ્યી સમિતિના અહેવાલમાં કહેવાયું છે. સાથે જ જેઓ સ્થળાંતર કરી ગયા છે તેમને પુન: તેમના મૂળ સ્થાને વસાવવાની ભલામણ કરાઈ છે. કાશ્મીરમાં ધર્મ પૂછીને માર્યા એ વાત સતત વહેતી થઈ. મુર્શિદાબાદના હુમલા પછી પણ પોલીસનું એકપક્ષીય વલણ જગજાહેર છે. સરકારે પોતાના વલણ અને અભિગમ સત્વરે બદલવા જોઈએ. કોમી એક્તાના હિમાયતીઓએ બંગાળમાં પણ અનુરોધ-અપીલ પહોંચાડવા જોઈએ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક