• રવિવાર, 01 જૂન, 2025

દુનિયામાં ભયાનક ગતિએ વધતો ભૂખમરો

 સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો રિપોર્ટ

2024માં 29 કરોડથી વધુ લોકોએ ભયંકર ભૂખ સહન કરી

નવી દિલ્હી, તા. 17 : દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભૂખમરો ચરમ ઉપર પહોંચી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે 295 મિલિયન એટલે કે 29 કરોડથી વધારે લોકોએ ભયંકર ભૂખનો સામનો કર્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી વર્ષોમાં સ્થિતિ વધુ દયનીય બની શકે છે. ઘણા દેશોમાં ભૂખમરાનો આંકડો સતત છઠ્ઠા વર્ષે પણ વધી રહ્યો છે.  ગ્લોબલ રિપોર્ટ ઓન ફુડ ક્રાઈસિસ અનુસાર 2024મા કુલ 295.3 મિલિયન લોકોએ તીવ્ર ભૂખનો સામનો કર્યો હતો. આ રિપોર્ટને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બિન સરકારી સંગઠનોના એક સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્લેષણ કરવામાં આવેલા 65 દેશોમાંથી 56 દેશની આબાદીના 25 ટકા લોકો ભૂખમરાના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર 2023મા આ આંકડો 281.6 મિલિયન લોકોથી વધારે હતો. લગભગ 20 લાખ લોકો સામે દુષ્કાળનું પણ જોખમ છે. જેમાં મોટી સંખ્યામાં ગાઝાની આબાદી સામેલ છે. 20 દેશો અને વિસ્તારમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા પ્રાથમિક કારણ હતા. જ્યારે 18 દેશમાં ખરાબ હવામાન અને 15 દેશમાં આર્થિક સમસ્યા જવાબદાર હતી.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 2025 માટે દ્રષ્ટિકોણ વધારે અંધકારમય છે, કારણ કે ઘણા સંગઠન અને દેશોએ મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે. રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે સિસ્ટમની વિફળતાથી વધારે માનવીય વિફળતા છે. 21મી સદીમાં ભૂખને સહન કરી શકાય નહી. ખાલી પેટનો જવાબ ખાલી હાથ અને પીઠ બતાવીને આપી શકાય નહી.

 

ઇ-પેપરના નવા શુલ્ક