મનરેગાના 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો
વડોદરા
તા.17: દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ
બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા)માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો
ઉભા કરી વર્ષ 2021થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં
આવી હતી. પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો
છે. 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી.
પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ
અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે.
દેવગઢબારિયા
તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ,
સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં
આવ્યું છે. આ કામોનું કમ્પ્લીશન સર્ટિફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ
હતો. તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં
આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો.
મનરેગાના
વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા
71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર
અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ
દાખલ કરાઇ હતી, જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી
મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.
આ જન
કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના
કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર
અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ
કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ
ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ
કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તટસ્થ
તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રી બચુભાઈ ખાબડ
રાજીનામું આપે : કોંગ્રેસ
અમદાવાદ,
તા. 17: દાહોદ જિલ્લાના બે તાલુકામાં 71 કરોડના ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભાજપા સરકારના
મંત્રી પુત્રોની સંડોવણી બાદ થયેલી ધરપકડ અંગે ભાજપા સરકારના મંત્રી બચુ ખાબડના રાજીનામાની
માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ
જણાવ્યું હતું કે, મનરેગા યોજના ગરીબ - શ્રમિક વર્ગને 100 દિવસના રોજગારની ગેરંટી કાયદા
હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓએ ખિસ્સા અને તિજોરી ભરવાનું
કામ કર્યું છે, ત્યારે દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે
મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવાઓ સાથે ગુજરાત
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સરકારને
આપી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની
વ્યાપક ફરિયાદો મળી છે. એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરિવારના લોકોની એજન્સીઓ
દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.