• શનિવાર, 31 મે, 2025

લોહી ગરમ છે

તુર્કી-ચીનને પણ ગર્ભિત ચેતવણી

પાકિસ્તાની આતંકનો યોગ્ય જવાબ આપીને તેને ખતમ કરવાના ભારતના અડગ નિરધારથી વિશ્વને અવગત કરવા માટે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પહોંચી રહ્યાં છે ત્યારે કૉંગ્રેસ પક્ષના વરિષ્ઠ ગણાતા પ્રવક્તા જયરામ રમેશે ભાજપ અને મોદી સરકાર ઉપર ટીકાપ્રહાર ચાલુ રાખ્યા છે. ભારતમાં રાજકીય ‘યુદ્ધવિરામ’ની શક્યતા દેખાતી નથી. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ રાજસ્થાનની જાહેર સભામાં જનતાનો જુસ્સો વધારવા અને પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું છે કે મોદી કા દિમાગ થંડા હૈ લેકિન ખૂન ગરમ હૈ - શરીર કી નસોં મેં ખૂન કે સાથ ગરમ સિંદૂર બહ રહા હૈ...!

પાકિસ્તાનમાં આતંકના મુખ્ય આકા જનરલ મુનીર ફિલ્ડ માર્શલ બન્યા પછી સમજૂતી - શાંતિની આશા નથી. વેર વાળવા ભારત ઉપર સશત્ર હુમલા અને સાયબર હુમલા કરશે જ એવી ખાતરી આપણને છે તેથી કૉંગ્રેસ સાથે વાક્યુદ્ધમાં જવાબ આપવાને બદલે પાકિસ્તાનને સીધી ચેતવણી આપવી વધુ યોગ્ય છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ત્રણ બાબતો બિલકુલ સ્પષ્ટ છે. એક - પાકિસ્તાનના દરેક હુમલાનો યોગ્ય જવાબ અપાશે. બીજું, પાકિસ્તાનના અણુબૉમ્બથી આપણે ડરતા નથી અને ત્રીજું - ભારત ઉપર હુમલો થાય તે માટે આતંકી અને પાકિસ્તાન - એકસાથે, એક સરખા જવાબદાર ગણાશે. પાકિસ્તાનને આ સ્પષ્ટ ચેતવણી છે.

ભારતના વિદેશ ખાતાએ પણ તુર્કી અને ચીનને જણાવી દીધું છે કે અમારી સ્થિતિ અને આપણા સંબંધનો વિચાર કરજો. આ બંને દેશો દ્વારા પાકિસ્તાનને સમર્થન અને શસ્ત્રો અપાઈ રહ્યાં છે તેથી આ ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના વ્યાપાર સંબંધો કાપી નાખવામાં આવ્યા છે તે સંકેત હવે તુર્કી અને ચીન માટે છે. પાકિસ્તાને આપણા લશ્કરી મથકો ઉપર ડ્રૉન અને મિસાઇલ્સના હુમલા આપણે નિષ્ફળ કર્યા છે તેના કાટમાળના પુરાવા વિશ્વના દેશોને બતાવ્યા છે અને આ બાબત આ બંને દેશો સાથે પણ વાત થઈ છે. હવે પાકિસ્તાની હુમલામાં આવાં શત્રો વપરાશે તો એમણે પણ ભારતના જવાબ માટે તૈયાર રહેવું પડશે - ભારત લશ્કરી જવાબ આપવાની ઉતાવળ નહીં કરે પણ વ્યાપાર - આર્થિક મોરચે જરૂર લડશે. પાકિસ્તાનની 80 ટકા શત્ર આયાત ચીનથી થાય છે.

આપણા વિદેશપ્રધાન જયશંકરે તાજેતરમાં નેધરલૅન્ડની મુલાકાત દરમિયાન કહ્યું છે કે ભારત આતંકવાદને કાયમ માટે ખતમ કરવા માગે છે. આમ છતાં કૉંગ્રેસના જયરામ રમેશ હજુ જૂનું વાજું વગાડયા કરે છે! આપણી એજન્સીઓ અને સેનાની નિષ્ફળતાના કારણે પહલગામમાં આતંકી હુમલો થયો - અને તે માટે ગૃહપ્રધાન જવાબદાર છે! સંસદનું વિશેષ સત્ર બોલાવો અને અમારા પ્રશ્નોના જવાબ આપો. મુખ્ય પ્રશ્નો હાંસિયામાં ઢાંકી દેવા માટે હવે મોદીએ સર્વપક્ષી પ્રતિનિધિમંડળો મોકલ્યાં છે - ધ્યાન અન્યત્ર ખસેડવાનો પ્રયાસ છે.

કૉંગ્રેસના આક્ષેપો અને કાગારોળના જવાબમાં ભાજપ કહે છે કે કૉંગ્રેસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રહિતની પરવા નથી - માત્ર સત્તા મેળવવાની ચિંતા છે, હવાતિયાં છે. કૉંગ્રેસના સભ્યોનો સમાવેશ પ્રતિનિધિમંડળોમાં થયા પછી બળાપો વધ્યો છે પણ તેના અન્ય સાથી પક્ષો કૉંગ્રેસને સાથ-હાથ આપવા તૈયાર નથી અને કૉંગ્રેસને થરૂર તથા અન્ય સભ્યો સામે ‘િશસ્તભંગ’નાં પગલાં લેવાની ઉતાવળ - અથવા હિંમત નથી. હવે પ્રતિનિધિમંડળો સ્વદેશ પાછાં ફરે ત્યારની સ્થિતિ - સંજોગો જોઈને નિર્ણય કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક