• શનિવાર, 31 મે, 2025

આતંકવાદ પછી હવે માઓવાદનો અંજામ...

પાકિસ્તાની આતંકવાદીઓ પછી ભારતમાં ‘સ્વદેશી અંતિમવાદીઓ’ દેશની સલામતી અને વિકાસ માટે ગંભીર પડકાર હોવાથી આગામી માર્ચ મહિનાની આખર સુધીમાં માઓવાદી

સામ્યવાદી પક્ષનો સફાયો કરવાનો લક્ષ્યાંક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે જાહેર કર્યો છે. આ લક્ષ્યાંકની સિદ્ધિના માર્ગે ભારતીય સલામતી દળોએ ઘણી મોટી સફળતા મેળવી છે તે બદલ અમિતભાઈએ અભિનંદન આપીને લક્ષ સિદ્ધિનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

છત્તીસગઢનાં ગાઢ જંગલોમાં માઓવાદી ફોજનો સેનાપતિ- કમાન્ડર ઇન ચીફ બાસવરાજુ તેના 26 સભ્યો સહિત પોલીસ સાથેની ઝપાઝપીમાં ઠાર થયો છે. મૂળ આંધ્ર પ્રદેશમાં જન્મેલો બાસવરાજુ પ્રતિબંધિત સામ્યવાદી - માઓવાદી પાર્ટીનો જનરલ સેક્રેટરી હતો. સત્તા બંદૂકના નાળચામાંથી મળે છે - બેલટ બૉક્સ - મતપેટીમાંથી નહીં એવી હિંસક વિચારધારા માઓવાદી પક્ષની છે તે મુજબ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાનો વિરોધ કરીને બળવો પોકારનાર પક્ષ - અથવા જૂથે છત્તીસગઢનાં જંગલોમાં છુપાઈને કાર્યકરોને તાલીમ આપીને ફોજ ઊભી કરી છે. છત્તીસગઢ ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાં પણ સ્થાનિક તંત્રને પડકારીને હત્યાકાંડ આચર્યાં છે. આદિવાસી, પછાત લોકોને ભડકાવી, ભરમાવીને સુરક્ષા દળો ઉપર હુમલા થાય છે. આ રીતે માઓવાદીઓનું અલગ સામ્રાજ્ય ઊભું કરવાની નેમ હોય છે.

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે સંસદમાં કહ્યું હતું કે સરહદ ઉપર લડતા આપણા સૈનિકો કરતાં વધુ સૈનિકો માઓવાદીઓ સાથે લડવામાં શહીદ થયા છે! આમ છતાં છેલ્લા ત્રીસ દાયકામાં કેન્દ્ર સરકારો માઓવાદી પડકારને ખતમ કરવામાં નિષ્ફળ ગઈ છે. મોદી સરકાર આવ્યા પછી ગૃહપ્રધાન અમિત શાહે લક્ષ્યાંક અને સમયમર્યાદા નિશ્ચિત કર્યા પછી સલામતી દળોને પૂરતી સહાય અને છૂટ આપવામાં આવી છે ત્યારથી ઘણા વિસ્તારોમાં માઓવાદીઓના અડ્ડાઓની સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે.

આ વર્ષે માઓવાદ વિરોધી અભિયાનમાં 200 બળવાખોરો ઠાર થયા છે. બસ્તર વિસ્તાર જે માઓવાદી ગઢ ગણાતો હતો ત્યાં હવે સફળતા મળી છે. બાસવરાજુના માથા ઉપર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું. દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે કડીરૂપ બનેલો બાસવરાજુ શિક્ષિત, એન્જિનિયર હતો અને એલઈડી બૉમ્બ બ્લાસ્ટમાં નિષ્ણાત હતો. આંધ્ર - તેલંગણાના વારંગલમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. નાની વયથી જ માઓવાદી વિચારધારામાં જોડાયો અને પક્ષમાં નંબર-ટુના સ્થાને પહોંચ્યો હતો. 70 વર્ષની વયે પોતાની ફોજ સાથે સલામતી દળોને પડકાર્યા પછી તેનો આખરી અંજામ આવ્યો છે.

બાસવરાજુ લોકતાંત્રિક વ્યવસ્થા સામે મોટો પડકાર હતો. સલામતી દળો ઉપર હુમલાનું પ્લાનિંગ અને લશ્કરી વ્યૂહમાં એક્કો હતો. વર્ષ 2010માં એક ઝપાઝપીમાં 76 જવાનોને એકસાથે ઠાર કર્યા હતા.

બાસવરાજુના મરણ પછી હવે તેની ખાલી જગા કોઈ પૂરી શકે એમ નથી તેથી સુરક્ષા દળોને ખાતરી છે કે બચેલા - રહી ગયેલા માઓવાદીઓ શત્ર નીચે મૂકીને શરણાગતિ સ્વીકારશે અને માઓવાદનો અંત આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક