• શનિવાર, 31 મે, 2025

ટેલિકોમ કંપનીઓ : રોન્ગ નંબર

ટેલિકોમ કંપનીઓએ સરકારને એજીઆર (એગ્રીગેટ ગ્રોસ રેવન્યૂ) પેટે જે ગંજાવર રકમ ચૂકવવાની થાય છે તેના પરનું વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટી પરના વ્યાજમાં રાહતની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફરીથી નકારી કાઢતાં આ લાંબા અને અટપટા વિવાદનો કાનૂની મોરચો શાંત પડી ગયો છે. કંપનીઓએ સરકારને લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમના વપરાશ પેટે 2004થી તેમની કુલ આવક (એજીઆર)ના અમુક ટકા ચૂકવવાના હતા. કુલ આવકમાં કઈ આવકનો સમાવેશ કરવો તેનો વિવાદ વર્ષો સુધી ચાલ્યા પછી 2021માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કંપનીઓને ટેલિકોમ સેવા ઉપરાંત ઈન્સ્ટોલેશન ચાર્જીસ, લેટ ફી, હેન્ડસેટનું વેચાણ, ડિવિડન્ડ, વ્યાજ, મૂલ્યવર્ધિત સેવાઓ અને આનુસંગિક સેવાઓ સહિતના કોઈ પણ સ્રોતમાંથી જે આવક થાય તે બધી જ આવકમાંથી તેમણે સરકારને ઠરાવેલો હિસ્સો આપવો પડશે. સરકારે બાકી રકમ પર વ્યાજ અને પેનલ્ટી માગી. કંપનીઓ અનેકવાર જાતજાતની દલીલો પરંતુ એક જ માગણી (રાહતની) લઈને અદાલતમાં ગઈ છે અને દરેકવાર અદાલતે તેમની અરજી ફગાવી દીધી છે. કંપનીઓને મૂળ રકમ સામે વાંધો નથી એનો અર્થ એ કે મૂળ વિવાદ ઉકેલાઈ ગયો છે. તેમને માત્ર વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટી પરના વ્યાજમાં રાહત જોઈએ છે જે તેમની અને સરકાર વચ્ચેનો વ્યવહારુ અને રાજકીય મામલો છે. કાનૂની વિવાદ નથી. તેથી જ અદાલતે તેમની અરજીને ભૂલભરેલી ગણાવી અને કહ્યું કે સરકાર તમને રાહત આપવા માગતી હોય તો અમને વાંધો નથી. 

બધી કંપનીઓમાં વોડાફોન આઈડિયા (વીઆઈ)ની હાલત સૌથી ખરાબ છે. રિલાયન્સ જિયો નવી હોવાથી તેણે ચૂકવવાની રકમ નાની છે, એરટેલ ફટકો ખમી શકે એટલી સધ્ધર છે, તાતા ટેલિએ મોબાઈલ સેવાનું કામકાજ બંધ કર્યું છે. વોડાફોનનું કુલ કારજ રૂ 1.7 લાખ કરોડનું છે, જેમાં રૂ. 83,000 કરોડ એજીઆરના છે. હપ્તાવાર ચૂકવણીની સવલત અંતર્ગત વોડાફોને આ વર્ષથી સરકારને દર વર્ષે રૂ. 18,000 કરોડ ચૂકવવાના છે અને તેની કુલ રોકડ આવક વર્ષે રૂ. 9000 કરોડની છે. વોડાફોનનું રૂ. 36,950 કરોડનું દેવું સરકારે ઇક્વિટીમાં ફેરવી નાખ્યું છે. હવે વધારે રકમ ઇક્વિટીમાં ફેરવાય તો સરકારનું હોલ્ડિગ અત્યારના 49 ટકાની સપાટીથી વધીને 50 ટકાની ઉપર જતું રહે અને વોડાફોન જાહેર ક્ષેત્રની કંપની બની જાય જે સરકાર ઇચ્છતી નથી. વોડાફોને કહ્યું છે કે અમને રાહત નહિ મળે તો માર્ચ 2026 પછી અમારે કામકાજ બંધ કરવું પડશે. 

જો વોડાફોન ફડચામાં જાય તો ટેલિકોમ ક્ષેત્રે માત્ર બે જ કંપનીઓ રહે અને ગ્રાહકોએ તેમની દયા પર જીવવાનંક આવે. ટેલિકોમ કંપનીઓને, ખાસ કરીને વોડાફોનને રાહત આપવા માટેનું આ મજબૂત કારણ છે. વાસ્તવમાં સરકારે આવી રાહત આપતો પ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો પરંતુ પાછળથી રાજકીય ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપના ભયથી વિચાર માંડી વાળ્યો હતો. વોડાફોનને બેંકો લોન આપતી નથી, તેના ગ્રહકો તેને છોડી રહ્યા છે અને કરજના ભારને લીધે તેને માટે સેવાઓનું વિસ્તરણ કે આધુનીકરણ કરવાનું મુશ્કેલ છે. તેના પ્રમોટરો ખૂબ મોટું રોકાણ કરે તો જ તે આ સંકટમાંથી બહાર આવી શકે. ટેલિકોમ ક્ષેત્રે બે જ ખેલાડીઓ રહે તેવી શક્યતાથી સરકાર પોતાની નીતિ બદલે તેવી સંભાવના એટલા માટે ઝાંખી છે કે ટેક્નોલોજીની પ્રગતિને કારણે કોઈની ઇજારાશાહી ટકતી નથી. ટેલિકોમ ક્ષેત્રમાં હવે 6જીએચ ટેક્નૉલોજીના આગમનના ભણકારા વાગે છે. સરકાર તેના નીચલા છેડાને લાયસન્સમુક્ત કરવા વિચારી રહી છે. સેટેલાઇટ બ્રોડબેન્ડ પણ નવા પ્રકારની હરીફાઈ લઈને આવશે. વોડાફોનના પ્રમોટરોએ અદાલત કે સરકાર પાસેથી રાહત માગવાને બદલે કંપનીને બેઠી કરવાના ઉપાય વિચારવા રહ્યા. 

ઇ-પેપરના નવા શુલ્ક