• શનિવાર, 31 મે, 2025

ક્રિકેટ મોરચે બહિષ્કાર

પહેલગામના નિર્મમ હત્યાકાંડને પગલે પાકિસ્તાન વિરુદ્ધ ભારતે લશ્કરી અને રાજદ્વારી મોરચો માંડયો છે. યુદ્ધ મેદાન (ગગન)માં ડંખીલા શત્રુને પરાસ્ત કર્યું. હવે આતંકવાદને પાકિસ્તાન તરફથી અપાતી મદદ તેના કટ્ટર અભિગમ વિશે સાચી હકીકતો પહોંચાડવા સાંસદોનાં પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. એ દરમ્યાન રમતનું વિશેષ તો ક્રિકેટનું મેદાન પણ ભારતે છોડયું નથી. પાકિસ્તાન સાથેના તમામ જાતના સંબંધો કાપી નાખ્યા પછી ક્રિકેટ સ્પર્ધામાં બંને દેશની ટીમ સામસામી ઊતરે એ સંભાવના ઉપર ચોકડી લાગી જાય એવી પહેલની પેશકશ ભારતે કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો એવો પ્રયાસ છે કે, હવે આઇસીસી ટુર્નામેન્ટોમાં પણ ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સામે મૅચ રમવી ન પડે. ભારત-પાક વચ્ચે એક દાયકા કરતાં વધુ સમયથી સીધો ક્રિકેટ વ્યવહાર નથી, બંને દેશની ટીમ છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણીમાં ઊતરી હતી, ત્યારે પાકિસ્તાન ટીમે વન-ડે, ટી-20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. એ પછી બંને ટીમ માત્ર આઇસીસી સ્પર્ધાઓમાં જ સામસામે ઊતરતી રહી છે.

નિ:સંદેહ ઇન્ડો-પાક ક્રિકેટ મુકાબલાનું જબરું માર્કેટિંગ થાય એ હિસાબે આઇસીસી સ્પર્ધાઓમાં બંને ટીમને એક જ ગ્રુપમાં રખાતી, પરંપરાગત પ્રતિસ્પર્ધીની ટક્કરની ક્રિકેટ દુનિયામાં રાહ જોવાતી, પણ આવું ન થાય એ બીસીસીઆઇ સુનિશ્ચિત કરશે. અલબત્ત, કોઇ સ્પર્ધામાં બંને ટીમ નોકઆઉટ તબક્કામાં સામસામી આવે તો મૅચ રમવી પડે. બીસીસીઆઇએ એ માટે તૈયારી દર્શાવી છે. ક્રિકેટજગતને આ વાત પસંદ નહીં પડે, પરંતુ ભારતને નુકસાન પહોંચાડવા તત્પર રહેતા, આપણા નિર્દોષ નાગરિકો અને જવાનોનું લોહી રેડતા દેશ સાથે ક્રિકેટ સંબંધ ન જ હોવા જોઇએ. રમતમાં રાજકારણ ન ઘુસાડવું જોઇએ એવી દલીલ કરનારાઓ સમજી લે કે રમત રાષ્ટ્રકરણથી પર ન હોઇ શકે.

બીસીસીઆઇના આ વ્યૂહને લીધે બીસીબી અને આઇસીસીને પણ નુકસાન થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને જે વાર્ષિક આવક થાય છે એના 80 ટકા ભારતમાંથી મળે છે. આઇસીસીએ 2023થી 2027 સુધીના ગાળા માટે ક્રિકેટ પ્રસારણના અધિકાર રૂા. 2578 કરોડમાં વેચ્યા છે. આટલી અધધધ... રકમ મળવાનું મૂળ કારણ ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચો જ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક