રાહુલ ગાંધીના ‘ઇન્ડિ’ મોરચાના અસ્તિત્વ અને ભવિષ્ય ઉપર ખુદ કૉંગ્રેસના નેતાઓ પ્રશ્નાર્થ મૂકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન મોદીએ નીતિ આયોગની વાર્ષિક બેઠકમાં દેશના 36 મુખ્ય પ્રધાનોમાંથી 31ની હાજરી અને પ્રશંસા મેળવી છે. આ પછી એનડીએના વીસ મુખ્ય પ્રધાનો તથા નાયબ મુખ્ય પ્રધાનોએ પ્રસ્તાવ પસાર કરીને અૉપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન આપ્યાં અને જાતિવાદી વસ્તી ગણતરીના નિર્ણયને સમર્થન આપ્યું.
જાતિવાદના
આધારે ગણતરી પછાત અને વંચિત જાતિઓના ઉદ્ધાર-િવકાસ માટે છે. રાજકારણ માટે નહીં - એમ
ભારપૂર્વક જણાવાયું છે. પસાર થયેલા ઠરાવમાં જણાવાયું છે કે કૉંગ્રેસે જાતિવાદના આધારે
ક્વૉટા નક્કી કર્યા અને મંડલ કમિશનનો વિરોધ કર્યો હતો પણ હવે જાતિવાદના આધારે વસ્તી
ગણતરીથી વંચિત વર્ગ માટે વિકાસના માર્ગ ખૂલશે.
ગયા
વર્ષે નીતિ આયોગની બેઠકમાં માત્ર વીસ મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. આ વર્ષે પાકિસ્તાની
આતંકવાદ અને ધર્મના આધારે હત્યાકાંડ થયા પછી ભારતે જે ‘યોગ્ય જવાબ’ આપ્યો તે પછી રાજકીય વાતાવરણમાં પરિવર્તન છે. 36માંથી 31 મુખ્ય
પ્રધાનોએ હાજરી આપી. નવ વિપક્ષી મુખ્ય પ્રધાનોમાંના છ હાજર રહ્યા અને માત્ર ત્રણ બહાર
રહ્યા તે સૂચક છે.
વિપક્ષી
મુખ્ય પ્રધાનોમાં તામિલનાડુના એમકે સ્ટાલિન અને તેલંગણાના રેવંથ રેડ્ડીએ પણ 2047 સુધીમાં
વિકસિત ભારત નિર્માણમાં રાજ્યોના સંપૂર્ણ યોગદાનની ખાતરી આપી છે. ભારતીય અર્થતંત્રને
વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચાડવાના લક્ષ્યાંકની પૂર્તિ માટે રાજ્યો લેશમાત્ર કચાશ
નહીં રાખે એવી ખાતરી આપી છે. એમકે સ્ટાલિને સમગ્ર શિક્ષા અભિયાનમાં નહીં જોડાવા બદલ
તામિલનાડુને ભંડોળ નહીં ફાળવાયું હોવાનો વિવાદ છેડયો નહીં તે વિશેષ નોંધપાત્ર છે. વડા
પ્રધાન મોદીએ સૌને એક શક્તિશાળી ટીમની જેમ કામ કરવાનો અનુરોધ કર્યો. કેન્દ્ર અને રાજ્યોની
ટીમ સાથે મળીને કામ કરે તો કોઈ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું અશક્ય નથી. આપણી સામે એક જ
લક્ષ્ય છે - વિકસિત ભારત. દરેક રાજ્ય વિકસિત, પાલિકા, દરેક ગામ વિકસિત બને અને આપણે
સૌ સાથે મળીને આ લક્ષ્યસિદ્ધિ માટે કામે લાગીએ તો વિકસિત ભારત માટે 2047 સુધી રાહ નહીં
જોવી પડે!
આ
દરમિયાન નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમે જાહેરાત કરી કે ભારતે વિશ્વના ચોથા મોટા
અર્થતંત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકા, ચીન અને જર્મની પછી - જાપાનના સ્થાને
હવે ભારતનું અર્થતંત્ર છે! આગામી અઢી-ત્રણ વર્ષમાં ભારત આ ગતિથી આગળ વધતાં જર્મનીને
પાછળ છોડી ત્રીજા ક્રમે પહોંચી જશે, એવી શક્યતા પણ વર્તાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદી
હેઠળ ભારતે બ્રિટનને પાછળ છોડી આ યાદીમાં આગળનું સ્થાન મેળવ્યું હતું ત્યારે આ પ્રગતિ
યથાવત્ રહેશે એ વિશે શંકા કરનારાઓનાં મોઢાં બંધ થઈ ગયાં છે. મોદીએ દરેક રાજ્યમાં કમસે
કમ એક ટૂરિસ્ટ કેન્દ્ર અદ્યતન વિકસાવવાનું સૂચન કર્યું છે. વિશ્વસ્તરના પર્યટન સ્થળ
સાથે રાજ્યોનાં શહેરો પણ ભવિષ્ય માટે સજ્જ બને, વિકસિત બને તે ઉપર પણ એમણે વિશેષ ભાર
મૂક્યો છે.
ગયા
વર્ષે નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ હાજરી આપીને
પછી સભાત્યાગ કર્યો હતો. આ વર્ષે એમની સાથે કેરળના વિજયન અને કર્ણાટકના સિદ્દારામૈયા
આવ્યા નહીં પણ વિપક્ષના બાકીના છ મુખ્ય પ્રધાનોએ હાજર રહીને મોદીને સમર્થન આપ્યું.
રાજકારણ સિવાય - વિકસિત ભારત નિર્માણ અભિયાનમાં જોડાયા તે રાજકારણ માટે શુભચિહ્ન છે.