• રવિવાર, 01 જૂન, 2025

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન બે દિવસ ગુજરાત પ્રવાસે

નરેન્દ્ર મોદી કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે : મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાઈ બેઠક

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા.19: ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર 26 અને 27 મે એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 26 મેએ ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે રાત્રે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે. ત્યારબાદ     બીજા દિવસે કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, વડાપ્રધાન પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. જેના ભાગરુપે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

એક માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે છે, તેવા અહેવાલો છે.

વડાપ્રધાન 26મીએ ભુજમાં : પ્રભારીમંત્રીએ કરી તૈયારીની સમીક્ષા

ભુજ, તા. 19: ભુજ ખાતે તા. 26 મેના યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમનાં આયોજન અનુંસંધાને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. તો પાનસેરિયાએ વડાપ્રધાન જ્યાં સભા સંબોધવાના છે એ સ્થળની પણ મુલાકાત લઈ જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

જિલ્લા કલેકટર આનંદ પટેલે ભુજ-મિરજાપર રોડ પર યોજાનારા કાર્યક્રમનાં સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિતો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીને પૂર્વ તૈયારીઓથી અવગત કર્યા હતા. પ્રધાનમંત્રીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા પણ કલેક્ટરે રજૂ કરી હતી. પ્રભારીમંત્રીએ વહીવટીતંત્રનાં આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવી સૂચારુ આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક