ખેડૂતોને આંશિક ફાયદો મળે કારણકે ટેકાની ખરીદી 10 ટકા ખેડૂતો સુધી પહોંચે છે? વૈશ્વિક બજારમાં તેજી ન થાય તો ભારતીય રૂની નિકાસ અટકશે, આયાત વધશે
રાજકોટ, તા.30(ફૂલછાબ ન્યૂઝ)
કપાસનો લઘુતમ ટેકાનો ભાવ ચાલી રહેલી મોસમના રૂ. 1504થી વધારીને નવી મોસમ માટે રૂ.
1622 કેન્દ્ર સરકારે કર્યો છે. 8 ટકા જેટલો ભાવવધારો કિસાનોમાં આવકારપાત્ર બન્યો છે.
જોકે જિનીંગ મિલો અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહામુશ્કેલીવાળો સમય લાવશે.
ઉદ્યોગ વર્તુળો કહે છેકે, સરકાર
ટેકાના ભાવમાં મોંઘવારી કરતા વધુ વધારો કરી ચૂકી છે પણ તેના સ્થાને કપાસની ઉત્પાદકતા
વધે તેવા પગલાની જરુરિયાત હતી. નવી મોસમમાં નિકાસમાં મુશ્કેલી, સુગમ આયાત અને જિનીંગ
મિલોને સીસીઆઇ તરફ વાળવાનો સમય આવશે. ખાનગી જિનોની હાલત ખરાબ થઇ જશે.
ભારતીય ભાવ આંતરરાષ્ટ્રીય બજારની
તુલનાએ ખૂબ ઉંચે જતા રહેતા ટેક્સટાઇલની સમગ્ર વેલ્યૂ ચેઇનને સમસ્યા થશે. જિનીંગ મિલો
અન્ય ફાઇબર તરફ વળશે અથવા કપાસ સાથે મિશ્રિત કરશે તો સરવાળે કપાસના વપરાશમાં ઘટાડો
દેખઆશે. ઓછી માગ ભાવ પર દબાણ લાવશે. સીસીઆઇને બજાર પ્રવેશ કરીને ઉંચા ભાવમાં ખરીદી
કરીને પછી વેચાણમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. હાલના સંજોગમાં જો વૈશ્વિક બજાર ખૂબ
ઉંચે જાય અને ભારતીય બજારની નજીકનો ભાવ રહે તો જ ઉદ્યોગ ટકવો સંભવ દેખાય છે.
અમદાવાદના અગ્રણી બ્રોકર અરુણ
દલાલ કહે છેકે, મોંઘવારી ખૂબ વધી રહી છે. ખેતી પણ મોંઘી થઇ છે. એ કારણે ટેકાના ભાવ
વધવા જોઇતા હતા પણ બે ત્રણ ટકા વધ્યા હોત તો બહુ સમસ્યા ન હતી. સરકારે 8 ટકા વધારો
કર્યો છે. તેની અસરે ઉદ્યોગ પર ગંભીર થશે. આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વબજારમાં ઉભો
રહી શકશે નહીં. નિકાસ નહીવત થવાની શક્યતા છે. ઉલટુ ભારતના ભાવ ઉંચા રહે અને વિદેશ સસ્તું
રહે તો આયાત પણ ખૂબ થશે. ચાલુ વર્ષે પણ અમેરિકા અને બ્રાઝીલના ભાવ નીચાં રહેતા 11 ટકા
જકાત સાથે પણ 28-29 લાખ ગાંસડીની આયાત ભારતમાં થઇ છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય રૂ
અત્યારે પણ વિદેસ કરતા ત્રણ હજાર જેટલું મોંઘું છે. હવે ખાધ વધશે. ખેડૂતોને સરકાર ઉત્તેજન
આપવા ઇચ્છતી હોય તો ઉત્પાદકતા વધે તે પ્રકારનું ઉત્તમ બિયારણ આપવું જોઇએ. ખેડૂતોને
ઉંચો ટેકાનો ભાવ આપવાથી લાચાર બની જશે. ટૂંકાગાળામાં તેનાથી લાભ દેખાશે પણ લાંબાગાળે
ફાયદો નહીં મળે.
કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના
અતુલ ગણાત્રા કહે છેકે, કપાસનો ટેકાનો ભાવ 6 ટકા આસપાસ વધવો જોઇએ એવી અમે માગ કરી હતી
પણ 8 ટકા જેટલો મોટો વધારો થયો છે. અલબત્ત બીજા પાકના ટેકાના ભાવ વધ્યા એ પ્રમાણે કપાસનો
ભાવ સારો ગણાય. વાવેતરમાં ઘટાડો થાય એમ હતુ એટલે ટેકાના ભાવથી લાભ થશે. વાવેતર ઘટવાને
બદલે સ્થિર રહેશે.
પ્રવર્તમાન સમયે ગુજરાતમાં સંકર
ગાંસડી રૂ. 54000-55000મા મળે છે. આંતરરાષ્ટ્રીય ભાવ રૂ. 50000-52000 છે. ટેકાના ભાવ
વધ્યા પછી રૂ. 63000ની પડતર ખાનગી જિનોને આવશે. સીસીઆઇની પડતર રૂ. 65000-70000 વચ્ચે
જશે. વૈશ્વિક ભાવ વધે તો પણ બન્ને વચ્ચે ખાધ મોટી રહી જશે.
તેમણે કહ્યું કે, સરકારે સીસીઆઇ
મારફત કપાસની ધૂમ ખરીદી ચાલી રહેલી મોસમમાં કરી હતી. જોકે માત્ર 10 ટકાને જ ટેકાના
ભાવનો ફાયદો મળ્યો હોવાનું અમારા સર્વેમાં બહાર આવ્યું હતુ. સીસીઆઇની ખરીદી થાય અને
ટેકાનો ભાવ ખેડૂતોને મળે તે માટે સરકારે ખરીદીની અલગ નીતિ તૈયાર કરવી જોઇએ. અત્યારની
સિસ્ટમમાં ખેડૂતને કોઇ ખાસ ફાયદો નથી.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશન સાથે
સંકળાયેલા એક જિનરે કહ્યું કે, સરકારે કપાસનો ટેકાનો રૂ. 1622નો ભાવ લંબતાર માટે જાહેર
કર્યો છે એનાથી જિનીંગ મિલો ચાલવી અસંભવ છે.
કપાસનો ભાવ રૂ. 1500 છે છતાં ગાંસડી બનાવવામાં પોસાણ નથી. નવા ભાવથી રૂ.
63-65 હજારમાં સડી પડે અને તે ખૂબ મુશ્કેલ સંજોગ હશે. સરવાળે ભ્રષ્ટાચાર વધે એવી પરિસ્થિતિ
નિર્માણ પામી છે.