• રવિવાર, 01 જૂન, 2025

સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક ડૂબ્યાં, બેનાં મૃત્યુ

એકનો આબાદ બચાવ; સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે બાળકોના મૃતદેહ બહાર કાઢયા

મૃતક બાળકના ફઈને આઘાત લાગતાં તેમણે પોતાના માથા પર પથ્થર મારીને ઇજા કરી

સાવરકુંડલા, તા. 30:  સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં બેનાં કરુણ મોત, એકનો આબાદ બચાવ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ  હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મૃત્યુ થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી પ્રમાણે ત્રણેય બાળક સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતા હતા. ડેમમાં નાહવા પડેલાં બાળકોમાંથી 14 વર્ષીય કૃણાલ અશ્વિનભાઈ સોલંકી અને 10 વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી ડૂબી ગયા હતા. અને 13 વર્ષીય મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૂબેલાં બે બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફત સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. મૃતક કૃણાલના પિતા કડિયા કામ કરે છે અને તે એકનું એક સંતાન હતું. આવતીકાલે ભણવા માટે તે લિલિયા જવાનો હતો. મૃચક કૃણાલના ફઈને આઘાત લાગતાં તેમણે પોતાના માથા પર પથ્થર મારીને પોતાને ઇજાગ્રસ્ત કરી લીધાં હતાં. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડેમમાં બાળકોના સુરક્ષિત પ્રવેશ માટે યોગ્ય વ્યવસ્થાઓની જરૂરિયાત પર ચર્ચા થઈ રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક