સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માગણીઓને મુદ્દે રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે
અમદાવાદ, તા.29: ગુજરાતની રાશનની
દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય દુકાનદારોએ લીધો છે. ગુજરાત ફેર પ્રાઇસ
શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનની આજે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે
વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જૂનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય
લેવાયો છે. રેશનકાર્ડ દુકાનદારોની આજે મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં 1 જૂનથી રાશન
દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક
મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા. બેઠકમાં દુકાનદારોને પડતી વિવિધ
મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. બેઠક અંગે ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન ડીલર્સ એસોસિયેશનના
પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, ઈકેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર
નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મતગણતરી પ્રક્રિયા
સરકાર જે રીતે કરે એ પ્રમાણે ઈકેવાયસી પણ કરવું જોઈતું હતું. ઘરે ઘરે જઈને રેશન કાર્ડની
ઈકેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય
સરકારનો વિભાગ ફકત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય કહેવાય. દુકાનદારોને દબાણ
કરવાથી ઈકેવાયસી પૂર્ણ નહીં થાય. અમે આ સામે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છીએ.
રાજ્ય સરકાર ઈકેવાયસી પ્રક્રિયા 100 ટકા પૂર્ણ નહીં કરે તો 1 જૂનથી વિતરણ વ્યવસ્થા
બંધ કરીશું. દુકાનદારોને મળતા 20 હજાર કમિશન અંગે પણ પદ્ધતિ સરકાર બદલે.