• બુધવાર, 21 મે, 2025

સૌરાષ્ટ્રની પ્રજામાં આક્રોશ

પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલો ધર્મઝનૂની પ્રહાર એટલો વસમો છે કે તેની પીડા આખા દેશે, વિદેશમાં વસતા ભારતીયોએ અનુભવી છે. સૌરાષ્ટ્ર પણ આ પીડામાં આક્રોશભેર સાથે છે. આ ઘટના જ એવી છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ સાથે કોઈ સંબંધ ન હોય તો પણ સંવેદના ઉપર કોઈનું નિયંત્રણ રહી શકે તેમ નથી. બધા શોકગ્રસ્ત છે અને ગુસ્સામાં પણ છે. સોશિયલ મીડિયા ઉપર ગુસ્સો ઠલવાઈ રહ્યો છે. સરકાર અને સેના કોઈ આકરું પગલું ભરે તેની પ્રતીક્ષા છે. સૌરાષ્ટ્ર સહિત દેશમાં ક્યાંય પણ આ ઘટનાને લીધે આંતરિક કલહ કે હિંસાત્મક કોઈ ઘટના બની નથી તે સૌથી મોટું આશ્વાસન છે અને તે જ પ્રજાના ધૈર્યની સાબિતી છે. સરકાર ઉપરના વિશ્વાસનો પુરાવો છે.

મંગળવાર સાંજથી જ આ બનાવ અંગે સતત સંવેદના વ્યક્ત થઈ રહી હતી. આટલી હદે ક્રૂરતાથી એક સાથે 26-26 પ્રવાસીઓની હત્યા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરી તેનાથી શોક અને સ્તબ્ધતા બન્ને હોવા સ્વાભાવિક હતા. બુધવારથી જ તેના પ્રત્યાઘાત પડવાનું શરૂ થયું. ગુરુવારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદે દુકાને દુકાને જઈને પોસ્ટર ચોટાડયાં તેમાં લખ્યું હતું કે આ દુકાન હિન્દુની છે. મોરબી બંધ પણ રહ્યું હતું. દરમિયાન એક નાગરિકે પાકિસ્તાની રાષ્ટ્રધ્વજનું ચિત્ર જમીન ઉપર બનાવીને તેને કચડી નાંખીને વિરોધ દર્શાવ્યો.  વિરોધની આ હવા અન્ય હિસ્સાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.

મોરબી આજે બીજા દિવસે પણ બંધ રહ્યું, ગઢડા, અરવલ્લી જિલ્લાનું મોડાસા, બધા ગામોના લોકોએ-વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને જિલ્લા-તાલુકાના વડાઓને આતંકવાદના વિરોધમાં આવેદનપત્રો આપ્યાં. પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. આ ઘટનામાં ભાવનગરના બે અને સુરતના એક વ્યક્તિના મૃત્યુ થયા છે પરંતુ જે ઘટના ઘટી છે તેમાં પ્રાંતના ભેદ ભૂંસાઈ ગયા. ભારતીયોના મૃત્યુ થયા છે. એવું સૌ કોઈ સમજે છે. કેન્દ્ર સરકારે તત્કાલ રાજદ્વારી પગલાં ભર્યાં છે પરંતુ મોટાભાગના નાગરિકોના મનમાં રોષ છે. સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ મોટું પગલું ભરાવું જોઈએ તેવું લોકો માને છે. સરકારે જો કે, આવો કોઈ નિર્ણય લેતા પહેલાં ચુસ્ત આયોજન કરવું પડે, આંતરરાષ્ટ્રીય અનેક બાબતોને ધ્યાને લેવી પડે. આ કોઈ શેરીનું ધિંગાણું નથી કે તરત નીકળી પડાય.

કેન્દ્રની સરકાર આ મુદ્દે ગંભીર હોય જ. સેના પણ સતર્ક થઈ છે તેના સ્પષ્ટ અણસાર છે. સૌરાષ્ટ્રમાં જે પ્રત્યાઘાત છે તે સમગ્ર દેશની સ્થિતિનું જ ચિત્ર છે. મુસલમાનોએ પણ મીણબત્તી રેલીઓ કાઢીને આતંકવાદનો વિરોધ કર્યો છે. આતંકી હુમલાની ઘટનાના ત્રણ દિવસ બાદ પણ ક્યાંયથી હિંસાના બનાવના સમાચાર નથી તે રાહત આપનારી વાત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક