(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 27 : વિક્રમ સંવત
2082ના વર્ષના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુદી જુદી જીવલેણ દુર્ઘટનાઓ બની રહી
છે. આ ક્રમમાં આજે સાંજે વધુ એક દુર્ઘટનાનો ઉમેરો થયો હતો. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ
તાલુકાના ડુંગરિયા દેવળિયા ગામે વીજ વાયર તૂટીને પડતા વીજ કરંટથી એક દંપતી સહિત ત્રણના
મૃત્યુ થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર,
હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે ત્યારે કમોસમી વરસાદને પગલે દંપતી
અને એક શ્રમિક યુવક ઘરની નજીક મગફળીના ભૂક્કાને ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ
દરમિયાન અચાનક વીજ વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો
હતો અને ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ નિપજ્યા હતા. મૃતક દંપતી ખેતરનું માલિક હોવાનું જાણવા
મળ્યું છે.
આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો
ત્યા આવી પહોંચ્યા હતા. ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ
માટે ખસેડવામાં આવ્યા હતા. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી
છે. વીજ કરંટથી ત્રણ-ત્રણ નિર્દોષના મૃત્યુ થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો
છે.