પોરબંદર, તા.3 : બખરલા ગામે રહેતા
અને અગાઉ હત્યા,હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કુખ્યાત ગુનેગારની
બે શખસે જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયાનો બનાવ
પોલીસમાં નોંધાયો છે. પોલીસે બન્ને હત્યારાઓ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બખરલા
ગામે રહેતા મેરામણ ઉર્ફે લંગી માલદે ખુંટી નામના પ્રૌઢ ગતરાત્રીના ઘેરથી બીડી લેવા
નીકળ્યા હતા. બાદમાં ગામના ચોકમાં પહોંચ્યા હતા ત્યારે મેરામણ ઉર્ફે લંગી પર ગામમાં
રહેતા સંજય દેવસી ઉર્ફે ભાણીયો ઓડેદરા અને તેના સાગરીતે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી
ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ મૃતક મેરામણની પત્ની મંજુબેન સહિતનો
પરિવાર દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ બનાવ અંગે પોલીસે મૃતક મેરામણની
પત્ની મંજુબેનની ફરિયાદ પરથી બરખલા ગામના સંજય દેવસી ઓડેદરા અને તેની સાથેના અજાણ્યા
શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં છ માસ પહેલા હત્યારા
સંજયના મિત્ર રમેશ ખુંટીના પિતા દેવા સાથે મૃતક મેરામણ ઉર્ફે લંગી સાથે બોલાચાલી થઈ
હતી તેનું મનદુ:ખ રાખીને સંજય અવાર નવાર માથાકૂટ કરતો હતો. દરમિયાન ગતરાત્રીના મેરામણ
બીડી લેવા નીકળતા સંજય અને તેના સાગરીતે છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
મૃતક મેરામણ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ મારમારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો
હતો તેમજ ર006માં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ટેકેદાર ગણાતા મૂળુભાઈ
મોઢવાડિયાની હત્યામાં પણ સંડોવાયેલ હતો. મૃતક મેરામણ બરડા પથકના ભીમા દુલા ઓડેદરાનો
ભાણેજ થતો હતો. પોલીસે બન્ને હત્યારાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.