સુપ્રીમ કોર્ટે અરજી ઉપર વિચાર
કરવાનો ઈનકાર કર્યો : કેન્દ્રએ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફરને મંજૂરી આપી
નવી દિલ્હી, તા. 28 : સુપ્રીમ
કોર્ટે રોકડ કાંડમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા સામે મુકદમો દાખલ કરવાની માગ
કરતી અરજી ઉપર વિચાર કરવાનો ઈનકાર કરી દીધો છે. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, મામલાની
ઈન હાઉસ કમિટિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ સામે આવ્યા બાદ સીજેઆઈ પાસે
કાર્યવાહી કરવાના ઘણા વિકલ્પો છે. તેવામાં અરજી ઉપર વિચાર કરવો ઉચિત રહેશે નહીં. બીજી
તરફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ ઉપર ન્યાયમૂર્તિ યશવંત વર્માના
ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે. હવે તેઓ દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટ જશે.
જે વર્માનું મુળ કાર્યક્ષેત્ર છે.
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઈયાંની
પીઠે અધિવક્તા મેથ્યુઝ જે નેદુમ્પરા અને હેમાલી સુરેશ કુર્ને દ્વારા દાખલ અરજીને સમય
પહેલા દાખલ કરવામાં આવેલી અરજી ગણાવી હતી. પીઠે કહ્યું હતું કે વર્માના ઘરેથી મળેલી
રોકડ મુદ્દે આંતરિક તપાસ ચાલી રહી છે. જો રિપોર્ટમાં કંઈ અયોગ્ય સામે આવશે તો એફઆઈઆર
દાખલ કરવાનો નિર્દેશ આપી શકાશે અથવા તો બનાવને સંસદને મોકલી શકાશે. વર્તમાન સમય અરજી
ઉપર વિચાર કરવાનો નથી.