• બુધવાર, 21 મે, 2025

સેના પ્રમુખને મળ્યો ટેરિટોરિયલ આર્મી બોલાવવાનો પાવર સરકારનું જાહેરનામું : ટેરિટોરિયલ આર્મીની 14 બટાલિયન સક્રિય

નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાન સાથે જારી તણાવ દરમિયાન ભારત સરકારે ટેરિટોરિયલ આર્મી (પ્રાદેશિક સેના)ને સક્રિય કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારે જાહેરનામામાં કહ્યું છે કે, ભારતીય સેના પ્રમુખ જનલર ઉપેન્દ્ર દ્વિવેદીને ટેરિટોરિયલ આર્મી રુલ્સ 1948ના નિયમ 33 હેઠળ અધિકાર પ્રદાન કર્યો છે. જેના હેઠળ તેઓ કોઈપણ પ્રાદેશિક સેના અધિકારી કે જવાનને સેનાના નિયમિત દળની સહાય માટે બોલાવી શકે છે.

આ આદેશ હેઠળ વર્તમાન 32 ઈન્ફન્ટ્રી બટાલિયનમાંથી 14 બટાલિયનને સક્રિય કરવામાં આવશે. આ બટાલિયનને દેશના વિભિન્ન સૈન્ય કમાનોમાં તૈનાત કરવામાં આવશે. જેમાં દક્ષિણી કમાન, પુર્વી કમાન, પશ્ચિમી કમાન, કેન્દ્રીય કમાન, ઉત્તરી કમાન, દક્ષિણ-પશ્ચિમી કમાન, અંદામાન અને નિકોબાર કમાન અને આર્મી ટ્રેનિંગ કમાન સામેલ છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરેક અધિકારી અને દરેક નામાંકિત જવાનને જરૂરી ગાર્ડ ડયુટી સોંપવા અને નિયમિત સેનાને સમર્થન આપવાના હેતુથી સક્રિય કરવામાં આવી શકે છે.

આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જયારે ગત રાત્રે ઘણા રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન હુમલા થયા હતા. જો કે ભારતની મજબૂત વાયુ સુરક્ષા પ્રણાલીએ પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઈલ હવામાં જ નષ્ટ કરી દીધા હતા.

પ્રાદેશિક સેનાને ભારતની ‘બીજી રક્ષા પંક્તિ’ના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સેના સામાન્ય નાગરીકોથી બનેલી હોય છે. જે સામાન્ય જીવનમાં વિભિન્ન કામમાં કાર્યરત હોય છે. જો કે જરૂરીયાતના સમયે સેનાની મદદ માટે બોલાવવામાં આવી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે વર્તમાન સ્થિતિમાં પ્રાદેશિક સેનાની તૈનાતીથી સેનાને વધુ બળ મળશે અને સરહદી વિસ્તારમાં દેખરેખ અને જવાબી કાર્યવાહીની ક્ષમતા પણ મજબૂત બનશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025