છાત્રો -સરકારની બીજા દોરની બેઠક પરિણામ વિહોણી; પરીક્ષાઓ રદ કરી સીબીઆઈ તપાસની માંગ
રાંચી,
તા. 8 : ઝારખંડમાં પીએસસી - એસએસસી પરીક્ષાઓમાં ગરબડના મામલે પ્રદર્શનકારી છાત્રો અને
સરકારનાં પ્રતિનિધિમંડળ વચ્ચે શનિવારે એક કલાક ચાલેલી બીજા દોરની વાતચીત પણ પરિણામવિહોણી
રહી હતી. દરમ્યાન, આ મામલો આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.પરીક્ષા રદ કરવાની માંગ
સાથે છ છાત્ર અનશન પર છે. છાત્રોએ સોમવારે વિધાનસભા ઘેરવાનું એલાન કર્યું છે. દરમ્યાન,
છાત્રનેતા દેવેન્દ્રનાથ મહતોએ જણાવ્યું હતું કે, મને બોલવામાં ભારે તકલીફ પડી રહી છે.
બ્લડશુગર, બ્લડપ્રેશર ઘટી ગયા છે. સરકાર સાથે
બેઠક વિશે મહતોએ કહ્યું હતું કે, હું તો નહોતો ગયો, પરંતુ છાત્રો ગયા હતા અને માગોની
યાદી સોંપી દીધી છે. સરકારે ભરોસો અપાવ્યો હતો કે, તેમની માગો પર વિચાર કરે છે. ઝારખંડ
સરકારે છાત્રોનાં સૂચનો માગ્યાં હતાં. મંત્રી સુદિવ્યકુમાર સોનુએ જણાવ્યું હતું કે,
અમે છાત્રોના વિવિધ સમૂહો, હિતધારકોને મળશું. તમામ સૂચનો આવ્યા બાદ ફેંસલો લેવાશે.