કોંગ્રેસના
મંત્રીના દાવા બાદ ભાજપે નાયબ મુખ્યમંત્રી શિવકુમારને ગણાવ્યા માસ્ટર માઈન્ડ
બેંગ્લુરુ,
તા.ર1 : હની ટ્રેપની જાળમાં 48 ધારાસભ્ય સપડાયા હોવાનું અને તેની સીડી-પેન ડ્રાઈવ તૈયાર
કરાયાનો દાવો કરાતાં કર્ણાટકની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસના
નેતા અને રાજયના મંત્રી શિવકુમારને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય
અને સહકારીતા મંત્રી કે.એન.રાજન્નાએ વિધાનસભામાં દાવો કર્યો કે રાજયના 48 ધારાસભ્ય
જેઓ વિવિધ દળ સાથે સંકળાયેલા છે તેઓ હની ટ્રેપનો શિકાર બન્યા છે. તેમણે આ મામલાની તપાસ
કરવા રાજય પોલીસને અપીલ કરી છે.
ભાજપના
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુનિરત્નએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પર
સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે તેઓ સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યોને
હની ટ્રેપમાં ફસાવનારી ટીમના કર્તાધર્તા છે. તેમણે આરોપ લગાવ્યો કે શિવકુમાર અને તેમના
ભાઈ ડી.કે.સુરેશે પહેલા પણ ભાજપના ધારાસભ્ય રમેશ જરકીહોલીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા
જેથી તેમણે ર0ર1માં મંત્રી પદેથી રાજીનામું આપવું પડયું હતું. રાજન્નાએ કહ્યું કે લોકો
કહે છે કે કર્ણાટકમાં સીડી અને પેન ડ્રાઈવ બનાવતી ફેકટરી છે. મને જાણવા મળ્યું છે કે
48 લોકોની સીડી અને પેન ડ્રાઈવ બની છે.
ઉપરાંત
જેડીએસના ધારાસભ્ય એચ.ડી.રેવન્ના, તેમના પુત્ર અને એમએલસી સૂરજ રેવન્ના, હવે સહકારિતા
મંત્રી કે.એન.રાજન્નાને પણ આરીતે નિશાન બનાવાયા હતા. મુનિરત્ને દાવો કર્યો કે તેમના
વિરુદ્ધ પણ બળાત્કારનો ખોટો કેસ કરાયો છે જેની પાછળ શિવકુમારનો હાથ છે. તેમણે કહયું
કે શિવકુમાર રાત્રે ર વાગ્યે બેઠકો યોજે છે અને હની ટ્રેપ ટીમ મોકલે છે.