યાત્રીઓ સુરક્ષિત હોવાનો તંત્રનો દાવો
: સારવાર માટે જતા ઘાયલોનો વીડિયો વાયરલ
ભુવનેશ્વર,
તા. 30 : ઓરિસ્સાના કટકમાં રવિવારે બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના
11 ડબ્બા પાટા પરથી ઊતરી જતાં એક યાત્રીનું મોત થયું હતું, જ્યારે 25થી વધુ મુસાફર
ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાના કારણે રેલવે તંત્રએ ત્રણ ટ્રેનના માર્ગ બદલ્યા હતા. રેલવે
તંત્રએ બધા યાત્રી સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. જો કે, ઘાયલોને સ્ટ્રેચર પર જવાયા
હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
એક
મીડિયા હેવાલ મુજબ, રવિવારે સવારે નેરગુંડી સ્ટેશન પાસે કામખ્યા એક્સપ્રેસ ટ્રેનના
11 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મેડિકલ અને ઈમરજન્સી ટીમ પહોંચી
હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી, તો
એનડીઆરએફ અને ઓરિસ્સા ફાયર સર્વિસના જવાનો રેલવેને બચાવ કામગીરીમાં મદદ કરવા પહોંચ્યા
હતા. આ ટ્રેન અકસ્માતમાં એક યાત્રીનું મોત થયું હતું, જ્યારે 25થી વધુ ઘાયલ થયા હતા.
જો કે, મોતના આંકડા અંગે સત્તાવાર વિગતો જાહેર કરાઈ નહોતી.
આ પહેલાં
ઈસ્ટ રેલવેના અધિકારી અશોક મિશ્રાએ જણાવ્યું હતું કે, મુસાફરો સુરક્ષિત છે. જો કે,
વાયરલ થયેલા વીડિયોમાં ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જવાયાનું જોવા મળ્યું હતું. સદભાગ્યે
આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
નોંધનીય
છે કે, ગત 22 જાન્યુઆરીના લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ
હતી, જેમાં 13 લોકોનાં મોત થયાં હતાં, તો 10 મુસાફર ઘાયલ થયા હતા.