રવિવારે ફરી 5.1ના ભૂકંપથી દહેશત : થાઈલેન્ડની
તૂટી પડેલી નિર્માણાધીન ઈમારતમાં ચીનની કંપની સામેલ, તપાસના આદેશ
નવી
દિલ્હી, તા. 30 : મ્યાંમારમાં આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે પૂરા દેશમાં
તબાહી મચાવી દીધી છે. ભૂકંપના કારણે 1700થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે અને સેંકડોને
ઈજા પહોંચી છે. આ દરમિયાન આફ્ટરશોક સતત ચાલી રહ્યા છે. મ્યાંમારના બીજા સૌથી મોટા શહેર
માંડલે નજીક રવિવારે ફરી એક વખત 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનાથી લોકો વધુ
ડરી ગયા હતા. આમ પણ ભૂકંપના ડરથી પુરી રાત લોકો ઘરની બહાર સુઈ રહ્યા છે. ભૂસ્તરશાત્રીઓના
કહેવા પ્રમાણે મ્યાંમારમાં આવેલા ભૂકંપમાં 334 પરમાણુ બોમ્બ જેટલી ઊર્જા બહાર આવી હતી.
આ દરમિયાન થાઈલેન્ડમાં એક નિર્માણાધિન ઈમારત તૂટી પડી હતી. જેનું કામ ચીનની પણ એક કંપની
કરી હતી. થાઈલેન્ડની સરકારે આ બનાવના તપાસનો આદેશ આપ્યો છે.
મ્યાંમારના
ભૂકંપની ભયાનકતા એ વાતથી સાબિત થાય છે કે તેમાં 334 પરમાણુ બોમ્બ જેટલી શક્તિ હતી.
ભૂકંપ આવ્યો ત્યારે 300થી વધારે પરમાણુ બોમ્બ જેટલી ઊર્જા બહાર આવી હતી. ભૂવિજ્ઞાની
જેસ ફીનિક્સે આ દાવો કર્યો હતો. ફીનિક્સના કહેવા પ્રમાણે ભુકંપ આવ્યા બાદ આફટરશોક આગામી
અમુક મહિનાઓ સુધી અનુભવાય શકે છે કારણ કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ મ્યાંમાર નીચે રહેલી
યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ રહી છે. બીજી તરફ યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજીક સર્વેના કહેવા
પ્રમાણે મ્યાંમારમાં 1912 બાદ આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
મ્યાંમારમાં
આવેલા ભૂકંપની અસર થાઈલેન્ડમાં પણ જોવા મળી હતી. થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક
33 માળની નિર્માણાધિન ઈમારત અમુક સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ હતી. આ બનાવમાં 17 લોકો
મૃત્યુ પામ્યા છે અને 32ને ઈજા પહોંચી હતી. જ્યારે 83 શ્રમિક હજી પણ લાપતા છે. ઈમારત
થાઈલેન્ડના સ્ટેટ ઓડિટ ઓફિસની હતી. જે 45 મિલિયન પાઉન્ડના ખર્ચે બની રહી હતી. પરિયોજના
થાઈલેન્ડની કંપની ઈટાલિયન થાઈ ડેવલોપમેન્ટ કંપની અને ચીનની ચાઈના રેલવે નંબર-10 લિમિટેડ
દ્વારા સંયુક્ત રીતે બની રહી હતી. હવે થાઈલેન્ડના ઉપ વડાપ્રધાન અનુટિન ચાર્નવીરાકુલે
ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.