નવી દિલ્હી, તા. 3 : ભારત સરકાર વ્યાપાર અસંતુલન ઓછું કરવા માટે ચીન અને રશિયા જેવા દેશો ઉપર નિર્ભરતા ઘટાડવા અમેરિકા પાસેથી ઉર્વરક (ખાતર)ની આયાત વધારવાની યોજના ઉપર વિચાર કરી રહી છે. આ કદમ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતિને મજબુત કરવાની દિશામાં લેવાય રહ્યું છે. જેથી ભારતીય નિકાસને અમેરિકા બજારમાં યોગ્ય પહોંચ મળી શકે. સરકાર ભારતના પક્ષમાં વ્યાપાર સંતુલનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા ઘટાડવા માગે છે.
ભારત
દુનિયાના સૌથી મોટા ખાતર આયાતકાર દેશમાંથી એક છે. જેણે ગયા નાણાકીય વર્ષમાં 8.3 બિલિયન
ડોલરના મુલ્યનું ખાતર આયાત કર્યું હતું. જો કે અમેરિકાથી ખાતરની આયત ખુબ ઓછી છે.જે
માત્ર 3,00,000 ડોલરની રહી છે. સરકારનું લક્ષ્ય અમેરિકા સાથે વ્યાપાર ખાધને ઓછું કરવાનું
છે. જે 2024-25મા 41.18 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. ભારતને અમેરિકાની નિકાસ
11.6 ટકા વધીને 86.51 બિલિયન ડોલર છે. જ્યારે આયાત 7.44 ટકા વધીને 45.33 બિલિયન ડોલર રહી છે. ટ્રમ્પ સરકાર દ્વારા આ અસંતુલન મુદ્દે
ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર વર્તમાન સમયે ભારતના પ્રમુખ ખાતર
આપૂર્તિકર્તા દેશમાં રશિયા, સાઉદી અરબ, ઓમાન, ચીન અને મોરક્કો સામેલ છે. યુક્રેન યુદ્ધ
બાદ રશિયાથી આયાતમાં વધારો થયો છે. જેનાથી ભારતની રશિયા સાથેની વ્યાપાર ખાધ વધી છે.
સરકાર હવે આવી નિર્ભરતા ઓછી કરવા અમેરિકાથી આયાત વધારવા ભાર મુકી રહી છે.