• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ચોમાસાની આગાહીઓને વરસાદનો સચોટ જવાબ

અલનીનો કે સુપર અલનીનોના પ્રભાવ હેઠળ ચોમાસું ખૂબ નબળું રહેશે તેવા પૂર્વાનુમાનોએ ખેડૂતોની ચિંતા તો વધારી જ હતી. સરકારને પણ અલાયદા આયોજનો માટે વિચારતી કરી મૂકી હતી. જોકે અત્યારે તો ચોમાસાની અનેક આગાહીઓમાં રજનું ગજ થયું હોય એવી પરિસ્થિતિ આકાર લઇ રહી છે.

મહારાષ્ટ્રમાં ડિપ ડિપ્રેશનને કારણે ચોમાસું ફરી જીવંત થયું છે એમ હવામાન ખાતું કહે છે. ડિપ ડિપ્રેશન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભારે ભેજ ખેંચી લાવ્યું છે. ઠેર ઠેર ખૂબ સારાં વરસાદ થયાં છે. વરસાદની ખાસ્સી પહોળી ખાધ ઘણી સાંકડી બનતા હવે ફક્ત 14 ટકા રહી ગઇ છે. જુલાઇ ખૂબ સારાં વરસાદ સાથે પૂરો થયો છે, ઓગસ્ટ મહિનાના પહેલા ભાગમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું વેગ પકડે તેમ છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, ઉત્તર ભારતની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આસપાસ ખૂબ સારો વરસાદ પડી ચૂક્યો છે. હવે ગુજરાતનો દાવ ચોમાસું લઇ રહ્યું છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ જુલાઇમાં ઘણી સુધરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ત્રણ ત્રણ વખત પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિ સુધરી છે. હવે 2 ઓગસ્ટ 2026 સુધી સૌરાષ્ટ્ર કે જે ગુજરાતની ખેતીનું હબ ગણાય છે ત્યાં મેઘરાજા ખૂબ વરસે તેવી સિસ્ટમ સક્રિય થઇ છે.

ગુજરાત ખૂબ મહત્વનો પ્રદેશ છે કારણ કે કપાસ-મગફળી-કઠોળથી લઇને ઉંચી જાતના સફેદ-કાળા તલ પૂરાં પાડે છે. દિવેલની બહોળી નિકાસ કરતું ગુજરાત એરંડામાં પણ મોનોપોલી ધરાવે છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું હવે પ્રભાવશાળી બન્યું છે. મહારાષ્ટ્ર કઠોળની સાથે મોટાંપાયે કપાસ પણ પૂરો પાડે છે. બે રાજ્યમાં વરસાદની સ્થિતિ જૂનના અંત સુધી ચિંતાજનક હતી, હવે ખેતી દુષ્કાળના કાલ્પનિક ભયમાંથી બહાર આવતી જાય છે. ખેડૂતોમાં આનંદ છે. પાક ઉત્પાદન જળવાઇ રહેવાની કે વધવાની આશા ફરી બંધાઇ છે. 

અલ નીનોની ચિંતા ઘણી હળવી થઇ છે. અલબત્ત, પાકના સમયપત્રકો અનિયમિત અને અપૂરતા વરસાદને લીધે આડાંઅવળાં જરુર થઇ ગયા છે પણ સંતોષકારક વરસાદથી ખેતીને નક્કર આધાર મળ્યો છે. ભલે, વરસાદ અનેક રાજ્યોમાં એકસરખો નથી થયો પણ સાવ ગેરહાજરી બહુ ઓછાં તાલુકાઓમાં રહી છે. વરસાદનું પ્રમાણ ઘણા તાલુકાઓ-જિલ્લાઓમાં અગાઉના વર્ષો કરતા ઓછું છે છતાં ખાધ ખૂબ હતી એ ઘણી ઘટી ગઇ છે એટલે જ ખેડૂતો-સરકારને રાહત પહોંચી છે. ચોમાસું સક્રિય થવાને લીધે પાક ઉત્પાદન, ખેડૂતોની આવક અને ગ્રામ્ય અર્થતંત્રને સકારાત્મક ગતિ મળવાની આશા બળવત્તર બની  છે. આપણાં અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ ભલે વધ્યું પણ ખેતીનું વિશેષ મહત્વ હોવાથી સારો વરસાદ લોકોની ખરીદશક્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને સમગ્ર આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. એ કારણે સમૃદ્ધ ખેતી, સમૃદ્ધ ખેડૂત અને પૂરતો વરસાદ-આ ત્રણેય ભારતીય અર્થતંત્રની મજબૂતી માટેના આધારસ્તંભ ગણાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક