• શનિવાર, 31 મે, 2025

મગફળીનું વાવેતર વધશે, કપાસ-મરચીથી ખેડૂતો થાક્યાં

મગફળીના બિયારણની ધૂમ ખરીદી, જોકે કપાસના બિયારણના ઢગલાં, ખપત ઘણી ઓછી

રાજકોટ, તા.26 (ફૂલછાબ ન્યૂઝ) : ચોમાસું હવે ગમે ત્યારે ગુજરાતને દસ્તક દે તેવી શક્યતા છે પણ એ પૂર્વે સરકારે હજુ લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી નથી. બીજી તરફ ખેડૂતો ટેકાના ભાવની રાહે હજુ કપાસ, મગફળી કે કઠોળ પાકોમાં શું વાવવું તેનું ગણિત માંડી શકતા નથી. જોકે આરંભિક સર્વેક્ષણમાં એવું સ્પષ્ટ જણાયું છેકે, મગફળીના વાવેતર આ વર્ષની માફક જોરદાર થઇ શકે છે. કપાસમાં 20-25 ટકા સુધીનો કાપ મૂકાય એવી પૂરતી સંભાવના છે. મરચી પણ એવો પાક છેકે જેનાથી ખેડૂતો આ વર્ષે મોં ફેરવી લે તેમ છે. કઠોળમાં મગ, અડદ અને તલ જેવા પાકનું વાવેતર સામાન્ય રહી શકે છે.

બિયારણના ઉત્પાદકો અને વિક્રેતાઓ પાસેથી મળેલા મંતવ્યો પ્રમાણે મગફળીનું વાવેતર સળંગ બીજા વર્ષે ઉંચે જશે. 15થી 20 ટકા વાવેતર વધારો થઇ શકે છે. જ્યારે કપાસમાં 2021 પછી ભાવની સરખાઇ રહી નથી. ઉતારા પણ નબળા રહેતા ખેડૂતો થાકીને કપાસનું વાવેતર ઘટાડશે. કુલ વિસ્તાર 20-25 ટકા નીચો રહી શકે છે.

કપાસના નિષ્ણાત ડો. થોભણભાઇ ઢોલરિયા કહે છેકે, કપાસના બિયારણની ખરીદી અત્યાર સુધી ઘણી જ નબળી રહી છે. ખેતી મોટેભાગે ભાગિયા આધારિત થઇ ગઇ છે. ભાગિયા વતન જતા રહ્યા છે અને પરત આવ્યા નથી. વરસાદ વહેલો છે એટલે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને શું વાવવું તેનો જ ખ્યાલ નથી એવું મને જણાય છે. તેમણે કહ્યું કે, મગફળીનો ક્રેઝ આ વખતે વધારે છે. વાવેતર ચોક્કસપણે વધશે. જોકે કપાસના પરંપરાગત જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, ભાવનગર, ગઢડા, બોટાદ અને અમરેલી વગેરેમાં વાવેતર સારાં થશે પણ બીજે ઘટશે. કપાસમાં બિયારણની કોઇ જ સમસ્યા નથી.

કપાસનું વાવેતર ઘટવાની શક્યતા પાછળના કારણો વજૂદવાળા છે તેમ નિષ્ણાતોનું કહેવુ છે. કપાસમાં ટેકાનો ભાવ ચાલુ વર્ષે રૂ. 1504 હતો. એની બહુ સમસ્યા નથી રહી પરંતુ ઉતારા 20 મણ કે એનાથી ઓછાં આવ્યા એટલે વળતર ખૂબ જ ઓછું મળ્યું છે. બીજી તરફ સરકાર ટેક્સટાઇલ લોબીના દબાણથી

11 ટકાની જકાત દૂર કરશે કે ઘટાડી નાંખશે તો આયાતી રૂના ખડકલાં ઘરઆંગણે થાય એવી શક્યતા દેખાતી હોવાથી પણ ખેડૂતો ડરી રહ્યા છે.

અનેક ખેડૂતો સર્ટિફાઇડ બિયારણ લેવાને બદલે બિલવિનાનું કે છૂટક બિયારણ ખરીદી લેતા હોવાથી પણ બ્રાન્ડેડમાં ઘરાકી ઓછી દેખાતી હોય છે. જોકે બિલ વિનાના બિયારણમાં પણ માગ નહીવત હોવાનું જાણકારો કહે છે.

પટેલ એગ્રોના પ્રવીણ પટેલનું કહેવુ છેકે, કપાસના બિયારણની ખપત નથી એ જ રીતે મરચીની પણ માગ નથી. આ બન્ને બિયારણ દર વર્ષે ખરીદવા જ પડે છે. જોકે આ વર્ષે આકર્ષણ ઘણું જ ઓછું છે. ડિસ્ટ્રીબ્યુટરો પાસેથી ડિલરો સુધી બધે જ બિયારણ પહોંચી ગયા છે. કપાસના નીચાં ભાવ અને નબળા ઉતારાને લીધે ખેડૂતો ચિંતામાં છે એટલે વાવેતર ઘટવાની ધારણા છે. અમારા મતે 20-25 ટકા જેટલો કાપ વાવણીમાં આવી શકે છે.

તેમણે કહ્યું કે, મે મહિનામાં ખરીદી સારી હોય છએ અને વાતાવરણ પણ હવે ચોમાસા જેવું થવા લાગતા ખેડૂતો વાવેતર માટે તૈયાર થઇ રહ્યા છે. સામાન્ય સમજ એવી છેકે વહેલું ચોમાસું હોય ત્યારે મગફળી વધારે વવાય છે અને 20 જૂન પછી ચોમાસું બેસે તો કપાસના વાવેતર વિસ્તારમાં થોડો વધારો થતો હોય છે.   

કપાસના પેકેટનો ભાવ 475 ગ્રામ લેખે રૂ. 901 ચાલે છે. બિલ વિના ફોરજી અને ફાઇવ જી નામના બિયારણ પણ બજારમા ધૂમ વેચાય છે. બધુ મળીને વાવેતર 20 ટકા કપાય તો પણ બન્ને પ્રકારના બિયારણના વેચાણને મોટો ફટકો પડશે.

બીજી તરફ મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો અરસપરસ દાણાની આપ લે કરીને વાવેતર કરી નાંખતા હોય છે. બિયારણ માટે મગફળીની માગ પણ સારી છે. ખેડૂતોએ આગોતરા ઓરવીને વાવેતર પણ શરૂ કરી દીધાં છે. સરકાર ટેકાનો ભાવ જાહેર કરે અને ભાગીયા વતનથી પરત ફરવા લાગે તો વાવેતરમાં વેગ આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક