બનાવ
બાદ નાસભાગ મચી : 15ને નાની મોટી ઈજા : કવરેજ માટે ગયેલા મીડિયાકર્મીઓ પર હુમલો
પોરબંદર:
અહીંના ચોપાટીના મેળા મેદાનમાં રામદેવપીરના મંડપ મહોત્સવમાં સવારે સૂર્યોદય સમયે મંડપ
ખડો થતો હતો ત્યારે અચાનક જ મંડપનું દોરડું તૂટતા મંડપનો સ્તંભ ધડાકાભેર નીચે પડયો
હતો, જેમાં એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું જ્યારે 15 લોકોને નાની મોટી ઇજા થતાં
ભાવાસિંહજી હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાનું કવરેજ કરવા માટે મીડિયાકર્મીઓ ઘટના સ્થળે
પહોંચ્યા ત્યારે અમુક મીડિયાકર્મીના મોબાઇલ છીનવીને તેમાંથી વિઝ્યુઅલ ડીલિટ કરાવાયાનો
બનાવ બન્યો હતો. તે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં હાલ અનેક જગ્યાએ રામદેવપીર મંડપના આયોજન કરવામાં આવે છે. તે મુજબ ચોપાટી મેળા
મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. ગત રાત્રે
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંડપના દર્શન માટે અને સંતવાણી સહિતના કાર્યક્રમમાં જોડાયા
હતા. બુધવારે સવારે સૂર્યોદય સમયે મંડપ ખડો કરવાની વિધિ હાથ ધરવામાં આવી હતી ત્યારે
અચાનક મંડપના સ્તંભને ચોતરફ બાંધેલા દોરડા પૈકી એક દોરડું અચાનક જ તૂટી ગયું હતું.
તેના કારણે હજારો કિલો વજન ધરાવતો સ્તંભ ધડાકાભેર નીચે પડતા દર્શન કરવા આવેલા હજારો
શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી.
જેમાં
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણીયા નામના 54 વર્ષના શ્રદ્ધાળુનું
મૃત્યુ નિપજ્યું હતું.મંડપનો સ્તંભ ધડાકાભેર પડતા મચેલી નાસભાગને પોલીસે માંડ કાબૂમાં
લીધી હતી. ચારેબાજુ બુમાબુમ અને ભાગાભાગી જોવા મળી હતી. નાસભાગમાં 15 લોકોને નાની મોટી ઇજા થઇ હતી,સારવાર
માટે સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.
સવારે
મંડપ ખડો થતો હતો ત્યારે કવરેજ કરવા ગયેલા રિપોર્ટરો સિદ્ધાર્થ બુદ્ધદેવ અને અલ્પેશભાઇ
મોઢા વગેરે ઘટના સ્થળે હાજર હોવાથી મંડપ પડયો તેના વિઝ્યુઅલ લેતા હતા, એ સમયે અમુક
શખશોએ સિદ્ધાર્થ બુદ્ધદેવનો કાંઠલો પકડીને હુમલાનો પ્રયાસ કરી તેનો મોબાઇલ છીનવી લઇને
વિઝ્યુઅલ ડીલિટ કરાવ્યા હતા. એટલુ જ નહી પરંતુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. આથી
ત્યાં હાજર પોલીસની મદદ માગવામાં આવી હતી. બાદ જ્યારે હોસ્પિટલે કવરેજ કરવા માટે ગયા
ત્યારે પણ અમુક શખશોએ તેનો પીછો કર્યો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે
આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને જે શખસોએ મોબાઇલમાં વીડિયો ડીલિટ કરાવ્યો હતો તેના
વિઝ્યુઅલ પણ લીધા હતા. આ ઇસમ હોસ્પિટલ પાસેથી દોડીને નાસતો હોય તેવા વિઝ્યુઅલ પણ પોલીસને
આપવામાં આવ્યા છે. પોલીસે તેને શોધીને આગળની
કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકારોએ
પોલીસ પાસે એવી માગ કરી હતી કે તેઓ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ રીતે
ફરજમાં રૂકાવટ કરવાની અને મીડિયાને દબાવવાની કોશિશ કરનાર શખસો સામે કોઇ બાંધછોડ કરવી
જોઇએ નહીં અને કડક હાથે કામ લેવું જોઇએ.