• શનિવાર, 14 જૂન, 2025

આશાસ્પદ તબીબો માથે વિમાન રૂપે કાળ ત્રાટક્યો

બીજે મેડિકલ કોલેજનાં પરિસરની મેસ ઉપર ધડાકાભેર ફાટયું વિમાન : 50 છાત્રોનાં મૃત્યુની સંભાવના : ઈમારતમાં આગ ફાટી નીકળી

 

 

અમદાવાદ, તા.12: અમદાવાદથી લંડન માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદમાં એરપોર્ટથી નજીક જ મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજનાં પરિસરમાં ધડાકાભેર ધ્વસ્ત થઈ ગયું હતું. જેમાં વિમાનનો એક હિસ્સો ઈન્ટર્ન ડોક્ટરોની હોસ્ટેલની મેસમાં ઘૂસી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં આશાસ્પદ તાલીમી તબીબો માટે આભમાંથી આફતનાં રૂપમાં વિમાન ત્રાટક્યું હતું અને પ્રાથમિક અહેવાલોમાં 6 મેડિકલ છાત્રનાં મૃત્યુની પુષ્ટિ મળી રહી છે. જ્યારે મૃત્યુઆંક 50 થાય તેવી ભીતિ છે. મૃતકોમાં ચાર અંડરગ્રેજ્યુએટ છાત્ર અને એક પીજી રેસિડેન્ટ ડોક્ટરનો સમાવેશ થાય છે. હજી પણ ઈમારતની આસપાસ પડેલા કાટમાળ અને વિમાનનાં મલબામાં મૃતદેહો શોધવામાં આવી રહ્યાં છે.

બપોરે 1.39 કલાકનાં સુમારે આ વિમાને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડાણ ભરી હતી અને ત્યારબાદ તુરંત જ કંઈક ગડબડ થઈ ગઈ હતી. જેને પગલે વિમાન બીજે મેડિકલ કોલેજ પરિસરમાં તૂટી પડયું હતું. જો આ વિમાન હોસ્ટેલ ઉપર ખાબક્યું હોત તો દુર્ઘટના વધુ ઘાતક બની હોત. વિમાનનો એક હિસ્સો હોસ્ટેલની મેસમાં ઘૂસી ગયો હતો. અંદર મોડી બપોરે છાત્રો ભોજન લઈ રહ્યા હતાં ત્યારે પ્રચંડ ધડાકા સાથે વિમાનનો પાછળનો હિસ્સો ત્યાં ઘૂસી જતાં ભયાનક આગ ફાટી નીકળી હતી અને ભોજન લઈ રહેલા છાત્રોમાં નાસભાગ મચી ગઈ હતી.

મેસની અંદર અને બહારની તસ્વીરોમાં જોઈ શકાય છે કે, કોઈ કંઈ જાણ અને સમજે તે પહેલા જ પ્લેનમાં વિસ્ફોટનાં કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી હશે. મેસની અંદર ભોજનની થાળીઓ અને ઢોળાયેલા વાસણોને જોતા ખ્યાલ આવે છે કે, વિમાન તૂટયું ત્યારે ત્યાં છાત્રો ભોજન લઈ રહ્યા હતાં.

વિમાન અગનગોળો બનીને તૂટયું ત્યારે ભોજનાલયમાં આશરે પ0થી 60 જેટલા તાલીમી તબીબો હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં કહેવાય છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે, અંદર મોજૂદ છાત્રોનાં શબ પણ ક્ષતવિક્ષત હાલતમાં જ મળી આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક