કપિલ સિબ્બલનો ઉપરાષ્ટ્રપતિ ધનખડ પર કાર્યવાહી ન કરવાનો આરોપ
નવી
દિલ્હી, તા. 10 : ઉપરાષ્ટ્રપતિ અને ઉપલા સદનના સભાપતિ જગદીપ ધનખડે અલાહાબાદ હાઈકોર્ટના
જજ શેખરકુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસ પર કોઈ કાર્યવાહી કેમ ન
કરી તેવો સવાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કર્યો હતો અને
સરકાર પર ન્યાયાધીશને બચાવવાની કોશિશ કરાઈ રહી છે કેમ કે, યાદવે વીએચપીના ઈશારે કોર્ટ
પરિસરમાં ભડકાઉ નિવેદન આપ્યું હતું તેવો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ જજ યશવંત વર્મા
વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવનો વિરોધ કરવાનું એલાન કર્યું હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, ધનખડ પર નિશાન સાધતાં સિબ્બલે કહ્યું હતું કે, ડિસેમ્બર-24ના અમે
શેખર યાદવ સામે રાજ્યસભાના સભાપતિને મહાભિયોગ પ્રસ્તાવ લાવવા નોટિસ આપી હતી, પણ દુર્ભાગ્યપૂર્ણ
રીતે છ મહિના સુધી બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિએ બંધારણનું દાયિત્વ પૂરું કર્યું
નહીં. એક સહી કરવા માટે છ માસનો સમય લાગે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
વધુમાં
સિબ્બલે ઉમેર્યું હતું કે, સરકાર યાદવને બચાવવા માગે છે, તેથી કોઈ કાર્યવાહી નથી કરી
રહી. કેમ કે, યાદવે વીએચપીના ઈશારે સાંપ્રદાયિક નિવેદન આપ્યું હતું.
આ સાથે
સિબ્બલે જણાવ્યું હતું કે, જો સરકાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ
લઈને આવશે તો તેનો વિરોધ કરશે. કેમ કે, તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. જો સરકાર તેમ
કરશે તો ન્યાયપાલિકાની આઝાદી પર બહુ મોટો ખતરો ઊભો થશે.