• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 49 ભારતીય સહિત 261 લાપતા

બીજિંગ,તા.30 નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂરથી તબાહી મચી ગઈ છે. ચીનનાં કબજા હેઠળનાં તિબેટમાંથી આવેલા પાણીએ હોનારત સર્જી હોવાનું કહેવાય છે. જેનાં કારણે તિબેટમાં પણ વિનાશની અસરો જોવા મળી રહી છે. આમાં કૈલાશ માનસરોવરનાં યાત્રીઓ પણ ચપેટમાં આવી ગયા હતાં અને 49 ભારતીય સહિત કુલ 261 લોકોની કોઈ ભાળ મળી રહી નથી. ચીન તરફથી હજી સુધી કોઈ વિશેષ જાણકારી જાહેર કરવામાં આવી નથી પણ 261 જેટલા વિદેશી નાગરિકો કુદરતી આફત પછી લાપતા હોવાનું તેણે કહ્યું હતું. ગુમ થયેલા લોકોમાં મોટાભાગનાં તિબેટમાં સ્થિત તીર્થ કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. જે દરમિયાન તેઓ પૂરનો શિકાર બન્યા હતાં પણ હજી સુધી તેમની કોઈ ભાળ મળી નથી. લાપતા લોકોમાં 18 અમેરિકાનાં નાગરિકો પણ હતાં. 261 લાપતા લોકોમાં કુલ 23 દેશોનાં નાગરિકો સામેલ હતાં. આમાં 49 ભારતીય અને 104 નેપાળી હતાં.

ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવર યાત્રા ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરતા ફરીથી શરૂ કરવામાં આવી હતી. તેનો એક માર્ગ નેપાળ અને તિબેટની સીમા પાસેથી પસાર થાય છે. યાત્રાએથી પરત આવતા તિબેટ-નેપાળ સીમાએ સ્થિત ઈમિગ્રેશન બિલ્ડિંગમાં યાત્રીઓ રોકાયા હતાં ત્યારે બરાબર પૂર આવ્યું હતું અને પછી તેમની કોઈ જાણકારી મળી રહી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક