ભાજપમાં
થોડી પણ સંવેદના હોય તો હજુ અગ્નિકાંડની યોગ્ય તપાસ કરાવે : ધારાસભ્ય મેવાણી
ટીઆરપી
ગેમઝોનની સામે કોંગ્રેસ દ્વારા હવન કરાયો, શ્રદ્ધાંજલી પાઠવાઈ
રાજકોટ,
તા.25 : શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં એક વર્ષ પહેલાં બનેલા ગોઝારા અગ્નિકાંડને આજે એક
વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 27 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કમકમાટીભરી
ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે મૃત આત્માઓની શાંતિ માટે અને તેમના મોક્ષાર્થે રાજકોટ શહેર
કોંગ્રેસ દ્વારા સવારે ટીઆરપી ગેમ ઝોનની સામે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત
સૌએ શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને અગ્નિમાં આહુતિઓ આપી મૃતકોના
આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ સમયે વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું
અને અનેક લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. સાંજે કોંગ્રેસ દ્વારા કેન્ડમાર્ચ યોજીને
મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી અને ન્યાયની માગ કરાઈ હતી.
આ તકે
કોંગ્રેસના નેતા અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાસ આવી પહોંચ્યા હતા અને ભાજપ
સરકાર ઉપર આકરા પ્રકાર કરતા કહ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ પહેલા જ દિવસથી કાટમાળ
ખસેડી પુરાવાઓનો નાશ કરવો, વિકટીમ્સને બિલકુલ સપોર્ટ નહીં આપવો અને વિપક્ષની મુવમેન્ટ
તોડવાની કોશિશ સરકારે કરી છે. આ મામલે ભાજપનું ચરિત્ર જ અત્યંત શર્મનાક રહ્યું છે.
જેને લઈને 1 વર્ષ બાદ પણ આ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય મળ્યો નથી. અમારી અને આ દુર્ઘટનાનાં
પીડિત પરિવારોની ત્યારે પણ માગ હતી કે, સમગ્ર મામલે નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપવામાં
આવે પરંતુ સરકારે આવું કર્યું નથી. જેનો મતલબ સ્પષ્ટ છે કે, સરકાર નક્કી કરીને બેઠી
હતી કે, વિપક્ષ ભલે ગમે તેમ કરે, રાજકોટની જનતા ભલે બંધ પાળે, પીડિતોને ન્યાય આપવાની
ભાજપ સરકારની કોઈ દાનત નથી.
મેવાણીએ
ઉમેર્યું હતું કે, સરકાર નક્કી કરીને બેઠી છે કે હાઈકોર્ટ ભલે ઉધડો લે અમે પીડિતોને
ન્યાય નહીં આપીએ. ભાજપમાં એક ટકો પણ સંવેદના હોય તો હજુ અગ્નિકાંડની યોગ્ય તપાસ કરાવે.
આવા બનાવમાં કોઈ રાજકારણ થવું જોઈએ નહીં પણ આ દુર્ઘટનામાં સરકાર દ્વારા માત્ર અધિકારીઓને
સંડોવી દેવામાં આવ્યા છે. મનપાનાં ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ અને પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા
મોટા લેવલના લોકો પણ આમાં સંડોવાયેલા હતા પરંતુ આ તમામનો બચાવ કરી અધિકારીઓ ઉપર દોષનો
ટોપલો ઢોળી દેવાયો છે. ભાજપમાં થોડી પણ સંવેદના હોય તો હજુ અગ્નિકાંડની યોગ્ય તપાસ
કરાવે અને મૃતકો અને તેમના પરિવારને ન્યાય અપાવે. જો કે, કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા
લડતી જ રહેશે.