• શનિવાર, 31 મે, 2025

સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરનાર મુખ્ય આયોજક ઝબ્બે : બે દી’ના રિમાન્ડ પર

પોલીસથી બચવા ત્રણ મહિના સુધી ભાગ્યા બાદ ચંદ્રેશ છાત્રોલા પોતાના જ ઘરે છુપાયો હતો

રાજકોટ, તા. 25:  રાજકોટના રેલનગરમાં ગત તા. 22 ફેબ્રુઆરીના ઋષિવંશી સમાજના નામે આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 28 દીકરીને રઝળાવી આયોજકો ફરાર થઇ જવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે ઘટના બાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક 5 શખસની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાને પોલીસ લાંબા સમયથી ગોતી રહી હતી જેમાં ચંદ્રેશ તેના ઘરેથી જ મળી આવતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

  માહિતી મુજબ, રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી અઉઇ હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જોકે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. તેમજ લગ્ન સંબંધિત કોઈ પણ વ્યવસ્થા જોવા ન મળતા છેતરપિંડી થયાનું સમજાઈ ગયું હતું. થોડી જ વારમાં લગ્ન સ્થળ જગ્યાએ સ્થિતિ અસામન્ય બની હતી અને રાજકોટ પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી. જો કે બાદમાં પોલીસે ઉપસ્થિત યુગલોના લગ્ન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. આ સમયે અનેક સેવાભાવી લોકોએ પણ જે લોકોના લગ્ન નથી થયા તેઓને લગ્ન કરાવી આપવાની જાહેરાત કરી માનવતા નિભાવી હતી પરંતુ આયોજકોએ કોઈ પણ જાતની માનવતા ન વ્યક્ત કરતા મામલો વધુ ગરમ અને ચર્ચાસ્પદ બન્યો હતો.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસે કાર્યવાહી આદરી હતી. જેમાં પ્રાથમિક ધોરણે 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર હતો. જેમાં પોલીસને હવે સફળતા મળી છે અને પ્રદ્યુમનનગર પોલીસે તેને તેના ઘરેથી જ પકડી લીધો છે. પોલીસ પાસેથી જાણવા મળ્યા મુજબ, ચંદ્રેશ પહેલા ગુજરાતની અલગ-અલગ જગ્યાએ રહ્યો હતો અને પછી પોતાની ઘરે છુપાઈને રહેતો હતો. પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ધરપકડથી બચવા ચંદ્રેશે આગોતરા અરજી કરી હતી પરંતુ તે પહેલા જ તેની ધરપકડ થઇ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક