• શુક્રવાર, 13 જૂન, 2025

BSF જવાનો માટે ભંગાર જેવી ટ્રેન !

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે અપાયેલી ટ્રેનના બારી, દરવાજા તૂટેલા, સીટ ગાયબ, ચાર સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 11 : અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત થવા માટે જનાર સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના 1200 જવાનો માટે ઘણી રાહ જોવડાવીને મોડેથી માંડ મોકલાયેલી ટ્રેનની તૂટેલી ફૂટેલી દશા જોતાં જ જવાનોએ તેમાં ચડવાની ના પાડી દીધી હતી.

પાંચ દિવસ જૂના આ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ રેલવે મંત્રાલયે ચાર રેલવે અધિકારીઓને ફરજમોકૂફ કરી દીધા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, ટ્રેનની સીટો પરથી ગાદીઓ જ આખી ગાયબ હતી, ટોયલેટ તૂટેલાં હતાં. જીવડાઓ આખી ટ્રેનમાં ફરતા હતા.

ગત છ જૂનના દિવસે ત્રિપુરાથી જવાનોને અમરનાથયાત્રા માટે જમ્મુ મોકલવાના હતા. આવી તૂટલ-ફૂટલ હાલતવાળી ટ્રેનમાં બેસવાના સૈનિકોના ઈન્કાર બાદ ગઈકાલે મંગળવારે બીજી ટ્રેન ફાળવવી

પડી હતી. અગાઉ પહેલીવાર જવાનો માટે અપાયેલી ટ્રેનના ડબ્બાની દશા એટલી ખરાબ હતી કે, લોકો યાત્રા કરવા તૈયાર જ ન થાય.

તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, ઘણા મહિનાઓથી આ ટ્રેનના ડબ્બાઓનો ઉપયોગ જ કરાયો ન હતો.

ટ્રેનના બારી-દરવાજા તૂટેલા પડયા હતા. તૂટેલો સામાન, સીટો પર ગંદકી, વીજળી ઠપ, બલ્બ, પંખા પણ નહોતા.

ઇ-પેપરના નવા શુલ્ક