પંજાબ નેશનલ બેંકના લગભગ 13 હજાર કરોડ રૂપિયાની અધધધ રકમ હજમ કરી જવાના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં થયેલી ધરપકડ ભારત સરકાર માટે મોટી રાજદ્વારી સફળતા બની રહી છે. એ અલગ વાત છે કે, ચોકસીને વાસ્તવમાં ભારત લાવવા માટે પ્રત્યાર્પણની લાંબી પ્રક્રિયાનો પડકાર હજી પાર પાડવાનો બાકી રહેશે. સાત વર્ષ અગાઉ દેશ છોડીને ફરાર થઈ ગયેલા ચોકસીએ એન્ટીગુઆમાં રોકાણના આધારે ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી, પણ તેની દરેક હિલચાલ પર સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની ચાંપતી નજર રહી હતી. આખરે સારવાર માટે બેલ્જિયમ આવેલા ચોકસીની ભારતની રેડકોર્નર નોટિસના આધારે ધરપકડ કરી લેવાઈ છે.
ગુનેગાર
ગમે એટલો ચતુર અને પહોંચેલો હોય, તો પણ તેની એક ભૂલ તેને સપડાવી દેતી હોવાની ઉક્તિ
ચોકસીના કેસમાં સાબિત થઈ રહી છે. બેલ્જિયમના સત્તાવાળાઓએ સીબીઆઈ દ્વારા તાકીદે પૂરા
પડાયેલા દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી અને તે પછી આ ધરપકડ થઈ છે. ચોકસીની ધરપકડ બાદ
ભારતીય સત્તાવાળાઓ તેનાં પ્રત્યાર્પણ માટે સક્રિય બની ગયા છે. બેલ્જિયમની સાથે ભારતના
પ્રત્યાર્પણ કરાર હોવાને લીધે આ પ્રક્રિયામાં સફળતા મળે એવી શક્યતા ઊજળી જણાઈ રહી છે.
ભારતમાં
આર્થિક ગોટાળા કરીને દેશ છોડીને નાસી ગયેલા ગુનેગારોને સ્વદેશ લાવવામાં થઈ રહેલા વિલંબના
મામલે સરકારની સતત ટીકા થઈ રહી છે. વિજય માલ્યા, નિરવ મોદી કે લલિત મોદીના કેસમાં વિલંબથી
ખુદ ભારત સરકાર પણ અકળાયેલી છે. જો કે, હવે ચોકસીની ધરપકડે સરકાર માટે રાહતની લાગણી
જગાવી છે. જો કે, ચોકસીનું બેલ્જિયમથી પ્રત્યાર્પણ સરળ તો નહીં રહે. તેના વકીલો અત્યારથી
આ ધરપકડને ગેરકાયદે ગણાવી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે, ચોકસી પાસે એન્ટીગુઆની નાગરિકતા
છે. આ દલીલને લીધે ચોકસીને ભારત લાવવાની પ્રક્રિયા મુશ્કેલ અને લંબાણભરી બની રહે તેમ
છે. ચોકસીનાં પ્રત્યાર્પણ ઉપરાંત તેણે હજમ કરેલાં મનાતાં પંજાબ નેશનલ બેંકનાં નાણાં
દેશમાં પરત કઈ રીતે લાવી શકાય તેનો જવાબ પણ ભારત સરકારે તાકીદે શોધવાનો રહેશે.