• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

રર કરોડનું દુર્લભ ‘કીડીખાઉ’ વેચે તે પહેલા રાજકોટમાંથી આરોપી પકડાયો

રેરેસ્ટ ઓફ ધી રેર વન્ય જીવ પેંગોલીનને કોડિનાર ખાતે ગોંધી રાખ્યું હતું, વેચાણ માટે કરતો હતો તજવીજ

 

રાજકોટ, તા.26  : આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં કિંમત થાય તેવા દુર્લભ પ્રાણી કીડીખાઉં (પેંગોલીન)ને ગેરકાયદે રીતે રાજકોટમાં વેચે એ પહેલાં શહેર એસઓજીની ટીમે ગીર પંથકના બે શખસને પકડી લીધા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વન્ય પ્રાણીઓની પોતાના અંગત લાભ માટે ગેરકાયદે તસ્કરી કરી વન્યજીવ ચક્રની લાઇફ સાયકલ ડીસ્ટર્બ કરતા તત્વો પોલીસે કડક કાર્યવાહી કરી છે. શહેર એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો ગત તા.24/10/2025ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે વન્ય જીવોના શેડયુલ-01માં સામેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાતુ દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતીનુ પ્રાણી કીડીખાઉ (પેંગોલીન)ને ગેરકાયદે રીતે ગોંધી રાખી એક શખસ પોતાના આર્થીક લાભ માટે તેના વેચાણ અર્થે રાજકોટ ખાતે આવનાર છે. પોલીસે ઢેબર રોડ ખાતેથી ગાંગેથા ગામના એક શખસને પકડી પાડી તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા પેંગોલીનને ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવાડ ગામે અન્ય આરોપીના કબ્જા ભોગવટામાં ગોંધી રાખ્યું છે તેવી વિગતો જણાવતા અધીકારીઓ ટેલીફોનીક મંજુરી મેળવી પ્રાણીનું રેસ્ક્યુ કરવા તેમજ આરોપીને પકડી પાડવા ગીર સોમનાથ જીલ્લા ખાતે જવા માટે રવાના થયા હતાં. મોડી રાત્રે ઘાટવડ ગામે પહોંચી સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ મેળવી ઘાટવડ ગામથી આગળ દેવથાનીયા જંગલ વિસ્તારમાં આતુભાઇ લાલકીયા (રહે.ઘાટવડ)ની વાડીમા પડતર ઓરડીમાં પાંજરામાં ગોંધી રાખેલા કીડીખાઉને હસ્તગત કરી ફોરેસ્ટ વિભાગની મદદ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર જામવાડાને સોંપવામા આવ્યું છે. પોલીસે ગીર પંથકના બે શખસ બીજલ જીવાભાઇ સોલંકી અને દીલીપ વિહાભાઇ મકવાણાની ધરપકડ કરી છે અને ફોરેસ્ટ વિભાગને જીવીત કીડીખાઉ (પેંગોલીન) નં-01, મોબાઇલ નંગ 02 સોંપવામાં આવ્યા છે.

 

પેંગોલીનનો મોટા પાયે થાય છે શિકાર, સૌથી વધુ તસ્કરી થાય છે આ જીવની

 

પેંગોલિન મોંઘા છે કારણ કે તેમના ભીંગડા અને માંસ પરંપરાગત દવા અને ભોજનમાં, ખાસ કરીને એશિયામાં, ખૂબ માગમાં છે. તેઓનો મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવે છે અને આ જીવ વિશ્વના સૌથી વધુ તસ્કરી કરાયેલા સસ્તન પ્રાણીઓમાનો એક છે, જેના કારણે તેમની કિંમતો વધે છે. પેંગોલિન ભીંગડા પરંપરાગત દવામાં, ખાસ કરીને ચીન અને વિયેતનામમાં, વિવિધ રોગોની (જુઓ પાનું 10)

સારવાર માટે ફાયદાકારક માનવામાં આવે છે, જોકે તેમના ઔષધીય ફાયદા વૈજ્ઞાનિક રીતે સાબિત થયા નથી. કેટલાક એશિયન દેશોમાં પેંગોલિન માંસને સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને આફ્રિકન દેશોમાં તેને ‘બુશમીટ’ તરીકે ખાવામાં આવે છે. આ માંગને કારણે, પેંગોલિનનો ભારે શિકાર કરવામાં આવે છે. આને રોકવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ દાણચોરી ચાલુ રહે છે, જેના કારણે કિંમતો વધુ વધે છે. વધુ પડતા શિકાર અને તસ્કરીને કારણે, પેંગોલિનની આઠ પ્રજાતિઓ લુપ્ત થવાનો ભય છે, જેમાંથી ત્રણ અત્યંત જોખમમાં મુકાયેલી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક