જીવીટી ટાઈલ્સમાં ફૂટે રૂ. 5, વોલ ટાઈલ્સમાં 30 અને ફ્લોર ટાઈલ્સમાં રૂ 50 નો ભાવ વધારો કરાયો : 1 જૂનથી અમલી
મોરબી,
તા. 30: ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધ પૂરું થવાનું નામ લઇ રહ્યું નથી જે યુદ્ધની
અસર મોરબી સિરામિક ઉદ્યોગ પર ઘણા સમયથી પડી છે.
અગાઉ ઉદ્યોગ દોઢ માસ બંધ રહ્યા બાદ પુન: શરૂ તો કરવામાં આવ્યો છે પરંતુ ગેસ
અને પેટ્રોલ-ડીઝલ સહિતના વધતા ભાવોને કારણે પ્રોડકશન કોસ્ટ વધી જતા 1 જુનથી ભાવવધારો
લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ
સિરામિક ટાઈલ્સના ભાવવધારા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ બે માસથી ગેસ ઉપરાંત
ડીઝલ અને પેટ્રોલનો ભાવવધારો જોવા મળી રહ્યો છે સાથે જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા
રો મટીરીયલ્સ અને ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધી જતા સિરામિકની પ્રોડક્શન કોસ્ટમાં 40 થી
50 ટકાનો વધારો થયો છે જેથી નાછૂટકે ભાવવધારો કરવો અનિવાર્ય બની ગયો છે.
જેથી સિરામિક એસો દ્વારા GVT ટાઈલ્સમાં પ્રતિ ફૂટ રૂ 5 નો
ભાવવધારો તેમજ વોલ ટાઈલ્સમાં રૂ 30 અને ફ્લોર ટાઈલ્સમાં રૂ 50 નો ભાવવધારો અને અન્ય
ટાઈલ્સમાં સાઈઝ મુજબ ભાવવધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
જે
ભાવવધારા અંગે ગ્રાહકો માહિતગાર હોવાનું તેઓએ જણાવી ઉમેર્યું હતું કે, બે માસથી ચાલી રહેલી સ્થિતિથી વેપારીઓ પણ માહિતગાર
છે અને ગ્રાહકોને એસોસીએશન લેટરપેડ પર ભાવવધારા અંગે માહિતી આપવામાં આવી છે પ્રોડક્શન
કોસ્ટ વધી છે જેથી ભાવવધારો કરવો અનિવાર્ય બની ગયો હોવાનું જણાવ્યું હતું.
એડવાન્સ પેમેન્ટથી જ વેપાર : એસો. પ્રમુખ
મોરબી
સિરામિક એસો પ્રમુખ મનોજભાઈએ પેમેન્ટ સીસ્ટમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ
ઉધારીથી વેપાર થતો હતો પરંતુ હાલની આર્થિક સંકટની સ્થિતિને ધ્યાને લઈને એડવાન્સ પેમેન્ટ
સીસ્ટમ લાગુ કરી છે અને એડવાન્સ પેમેન્ટથી જ વેપાર કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં
આવ્યો છે.