• બુધવાર, 10 જૂન, 2026

જેતપુરમાં શ્રમિક પરિવારને વીજ તંત્રે ફટકાર્યું 37.72 લાખનું બિલ

11 લાખનું મકાન વેંચી દે તો પણ વીજ બિલની ત્રીજા ભાગની રકમ જ ભરપાઈ થાય !

(ફૂલછાબ ન્યુઝ)

જેતપુર, તા. 9 : જેતપુરમાં ઙઋટઈકની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરપ્રાંતિય મજૂર પરિવારને વીજ તંત્રે રૂપિયા 32,72,222 (32 લાખ 72 હજાર)નું વીજ બિલ પધરાવી દીધું છે !

ગણેશનગર વિસ્તારમાં અભીનન્દ્રાસિંહ રાઠોડ નામનો પરપ્રાંતીય શ્રમિક યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. રોજનું કમાઈને રોજ ખાતા આ પરિવારના ઘરમાં માંડ એક પંખો અને ટ્યુબલાઈટ ચાલે છે. આ પરિવારને જૂના મીટરમાં માંડ 1000 થી 1200 રૂપિયાનું બિલ આવતું હતું. પરંતુ થોડા દિવસો પહેલાં આ શ્રમિકે વીજ મીટર બદલવાની એક અરજી કરી હતી. જેના અનુસંધાને વીજ તંત્રે જૂનું મીટર બદલીને ’સ્માર્ટ મીટર’ ફરજિયાત હોવાનું કહીને લગાવી દીધું.

  સ્માર્ટ મીટર લાગ્યા બાદ જ્યારે અભીનન્દ્રાસિંહના પત્ની દીપિકાબેનના મોબાઈલ એપ્લિકેશનમાં પ્રથમ બિલ આવ્યું, ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. એપ્લિકેશનમાં આંકડો બતાવી રહ્યો હતો 32,72,222 રૂપિયા! આ ગરીબ પરિવાર જે મકાનમાં રહે છે તેની કિંમત માંડ 11 લાખ રૂપિયા છે. જો આ પરિવાર પોતાનું આખું મકાન વેચી દે ને, તો પણ વીજ તંત્રના આ બિલનો ત્રીજો ભાગ જ ભરી શકે! આ તે કેવો સ્માર્ટ વહીવટ ?

આ અંગે અભીનન્દ્રાસિંહ જણાવે છે કે અમારે બે મહિને માંડ હજાર રૂપિયા બિલ આવતું હતું. આ લોકો જબરદસ્તી સ્માર્ટ મીટર લગાડી ગયા અને હવે 32 લાખનું બિલ આવ્યું છે. અમે મજૂરી કરવાવાળા માણસો આટલા રૂપિયા ક્યાંથી લાવીએ? અમારું ઘર વેચીએ તોય આ બિલ પૂરું ન થાય.

ત્યારે આ ટેકનિકલ ભુલ છે કે પછી જનતાને લૂંટવાનો મોટો કારસો? તે સવાલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક