• મંગળવાર, 23 જૂન, 2026

પૂર્વ અગ્નિવીરોને વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : શારીરિક કસોટીમાંથી મૂક્તિ તેમજ નિયત ઉપલી વય મર્યાદામાં છૂટછાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22 : દેશની સેવામાંથી નિવૃત્ત થઈને પરત ફરનારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એટલુ જ નહિ, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ આપવાનો નિર્ણય પણ કર્યો છે.

અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે. પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે.  

ઇ-પેપરના નવા શુલ્ક