• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

નેપાળ જળપ્રલયમાં ગુમ-સંપર્કવિહાણા ગુજરાતીઓની સંખ્યા વધીને 24 થઈ

ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 28: નેપાળમાં પૂરમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યાનો આંક ગઇકાલે 18 હતો ત્યારે હવે રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી અનુસાર આજે તે આંક વધીને 24 થયો છે.

ગુજરાત સરકાર દ્વારા પણ ગૂમ કે સંપર્કવિહોણા થયેલાઓનો સંપર્ક કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ઉપરાંત હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 150થી વધુ ગુજરાતીઓ પણ અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગૂમ કે સંપર્કવિહોણા થયેલા કુલ 24માંથી વલસાડના રોમા દિલીપભાઈ ઇંટવાલા  બાબતે મામલતદાર વલસાડ તરફથી સત્તાવાર પુષ્ટિ મળી છે કે તેઓ હાલ નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત છે. 

નોંધનીય છે કે ગઇકાલે ગૂમ કે સંપર્કવિહોણા થયેલાઓની સંખ્યા 18 હતી, જે આજે વધીને 24 થઇ છે. અમરેલી અને રાજકોટના દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ (અમરેલી/ યુએસ નાગરિક): દિલ્હીથી નેપાળ પહોંચ્યા બાદ સંપર્કવિહોણા, કામતાપ્રસાદ બાબુલાલ (જાફરાબાદ, અમરેલી): 10 ઓગસ્ટે અયોધ્યાથી નેપાળ ગ્રૂપ સાથે નીકળ્યા બાદ 11 ઓગસ્ટથી સંપર્ક થઈ શક્યો નથી, જય દિનેશ કોટેચા (રાજકોટ મૂળના): રસુવાગઢી-કેરુંગ બોર્ડર નજીક ફસાયેલા છે, વડોદરા કનેક્શન (ન્યૂઝીલેન્ડ નાગરિક) કિન્નરી પટેલ અને મિહિર પટેલ, આણંદ જિલ્લાના બિમલકુમાર પટેલ અને જૈમિનાબેન પટેલ (આણંદ / યુએસ નાગરિક) ‘નમસ્તે નેપાળ ટ્રાકિંગ’ મારફતે ગયા હતા, ગઈકાલે સવારથી સંપર્કવિહોણા છે,

આ ઉપરાંત પદ્માબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ (કેનેડિયન નાગરિક): ‘િહમાલયન ગ્લેશિયર એડવેન્ચર’ મારફતે કૈલાશ યાત્રાએ ગયેલા, છેલ્લા 2 દિવસથી સંપર્ક તૂટી ગયો છે, અમદાવાદના અશોકભાઈ ધીરજલાલ કાપડી (મેમનગર, અમદાવાદ): ગઈકાલે સવારે 08:30 કલાકે ચાઈના બોર્ડર ઈમિગ્રેશન સેન્ટર નજીકથી છેલ્લો સંપર્ક થયો હતો, બીના પી. પારેખ (ઉસ્માનપુરા, અમદાવાદ / એનઆરઆઇ - ન્યૂયોર્ક): 24 ઓગસ્ટે છેલ્લો સંદેશ મળ્યો હતો, ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી, તેમજ પૂનમ ઠક્કર, ગાંધીનગરના ભાવિનકુમાર આર. રાવલ (મોટેરા / ઓસ્ટ્રેલિયન નાગરિક): કૈલાશ જર્નીઝ મારફતે ગયેલા, સવારે 5:00 વાગ્યે છેલ્લો સંપર્ક થયો હતો અને અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ (યુએસ નાગરિક): બાગમતી/ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી સંપર્કવિહોણા બન્યા છે,

ખેડા નડિયાદના ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન પટેલ (કેનેડિયન નાગરિક) અને ઈશાન પટેલ, શિલ્પાબેન પટેલ (અમેરિકન નાગરિક): નડિયાદના મૂળ વતની પરિવારો સાથે છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી, સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પટેલ (યુએસ નાગરિક) અને મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી (મુંબઈ નિવાસી): રિચા ટૂર્સ/હિલ્સ એન્ડ થ્રિલ્સ મારફતે કૈલાશ માનસરોવર ગયેલા, ગઈકાલે સવારે રસુવાગઢી બોર્ડર નજીકથી ફોટો મોકલ્યા બાદ સંપર્ક તૂટયો છે.

અહેવાલ મુજબ, મોટાભાગના પ્રવાસીઓ કૈલાશ માનસરોવર યાત્રાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રસુવાગઢી-કેરુંગ બોર્ડર અને ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં હતા, જ્યાં ભોટેકોશી નદીના પૂરે ભારે તબાહી મચાવી છે. ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક