બોટાદ, તા.15 : બોટાદમાં ગંભીર
ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હોય
જેને બોટાદ એલસીબી અને એસઓજીના સ્ટાફે બાતમીના આઘારે અમદાવાદથી ઝડપી પાડી ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં નવનાળા પાસે ખોજાવાડી
ખાતે રહેતો અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના હત્યા, મારામારી અને ગુજસીટોક જેવી કલમો
હેઠળ નોંધાયેલા ગુન્હામાં અમદાવાદ સાબરમતી જેલ ખાતે કાચા કામના કેદી તરીકે રહેલા સીરાજ
ઉર્ફે શીરો ડોન હુસેનભાઇ ખલ્યાણી 20 જૂનથી 1 જુલાઈ સુધીના 10 દિવસના વચગાળાનાં જામીન
મેળવી જેલમાં સમયસર હાજર થયેલ નહીં અને પેરોલજમ્પ કરી ફરાર હોય જેથી આ કાચા કામનો કેદી
અમદાવાદ ખાતે હોવાની બોટાદ એસઓજીના પીએસઆઇ એ. એમ. રાવલ તથા એલસીબીને બાતમી મળતા બોટાદ
એસઓજી અને એલસીબી ટીમે અમદાવાદ ખાતે જઈ આરોપી સીરાજ ઉર્ફે ડોન ખલ્યાણીને ઝડપી પાડી
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિરાજ ડોન વિરુદ્ધ હત્યા,
હત્યાની કોશિશ, મારામારી અને ગુજસીટોક જેવી કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. છાસવારે પોલીસને
ચકમો આપી ફરાર થઈ જવાની ટેવ ધરાવે છે.