• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

વિશ્વનાં સૌથી ઊંચાં શિવ મંદિર તુંગનાથ ઉપર જોખમ

દીવાલોમાં તિરાડ, મંદિર સતત ડાબી તરફ નમી રહ્યું છે : સરકારની નિયમોનાં કારણે જીર્ણોદ્ધાર મુશ્કેલ

નવી દિલ્હી, તા. 18 : વિશ્વપ્રસિદ્ધ તુંગનાથ મંદિર વર્તમાન સમયે જોખમમાં છે. મંદિર દેખરેખના અભાવે એક તરફ નમવા લાગ્યું છે. તુંગનાથ દુનિયાનું સૌથી ઊંચુ શિવમંદિર છે. સમુદ્ર તળથી તેની ઊંચાઈ 3680 મીટરની છે. તુંગનાથ મંદિર ચોપતાથી અંદાજિત 3.5 કિમીના ટ્રેકિંગની દૂરીએ છે. જેને ત્રિયુગીનારાયણ મંદિર અને કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળ સાથે પણ જોડવામાં આવે છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા તુંગનાથ મંદિરની દેખરેખ ન થવાનાં કારણે મંદિર એક તરફ નમી રહ્યું છે. આ ઉપરાંત મંદિરની દિવાલમાં પણ તિરાડો પડી રહી છે. કહેવાય છે કે જો ધ્યાન ન આપવામાં આવે તો મંદિરના અસ્તિત્વ ઉપર સંકટ ઉભું થઈ જશે. મંદિરના તીર્થ પુરોહિત કૃષ્ણ વલ્લભ મૈઠાણીના કહેવા પ્રમાણે ફોરેસ્ટ એક્ટનાં કારણે મંદિરનો જીર્ણોદ્ધાર પણ મુશ્કેલ છે. તુંગનાથની દીવાલ ઉપર મોટી તિરાડો પડી છે અને સભા મંડપની છત ઉપરથી પાણી પડી રહ્યું છે. મંદિર ડાબી તરફ નમી રહ્યું છે. આ મંદિર પાંડવ સમયનું છે અને આદિગુરુ શંકરાચાર્યએ બનાવ્યું હતું. સરકારી નિયમ અનુસાર આ સ્થળે કોઈપણ નિમાર્ણ પ્રતિબંધિત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક