• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સિંધુ જળ સમજૂતીમાં થાય બદલાવ : ભારતની પાક.ને નોટિસ આતંકવાદ સહિતનાં ત્રણ કારણ સાથે અધિકારો ફરીથી નક્કી કરવા કહ્યું

ભારતે સિંધુ જળ સમજૂતીમાં બદલાવની માગણી કરી છે. આ મામલે ભારત તરફથી એક ઔપચારિક નોટિસ પાકિસ્તાનને 30મી ઓગસ્ટના રોજ મોકલી દેવામાં આવી છે. બન્ને દેશ વચ્ચે 1960માં સિંધુ અને અન્ય પાંચ નદીનાં પાણીના ઉપયોગને લઈને સમજૂતી કરવામાં આવી હતી. સિંધુ જળ સમજૂતીના એક આર્ટિકલ અનુસાર તેની જોગવાઈમાં સમયાંતરે બદલાવ કરી શકાય છે. જેથી બન્ને દેશના હિતની આપૂર્તિ થઈ શકે. ભારતે 1960ની સમજૂતીમાં બદલાવની માગણી કરતા અમુક તર્ક પણ આપ્યા છે.

વિશ્વસનીય સૂત્રો અનુસાર ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, 1960થી અત્યારસુધીમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. આવી સ્થિતિમાં સિંધુ જળ સમજૂતીની શરતોમાં અમુક બદલાવની જરૂરિયાત છે. આ માટે ખાસ કરીને ત્રણ કારણ ગણાવતા ભારતે કહ્યું છે કે, 1960માં નક્કી કરવામાં આવેલી શરતોનો હવે કોઈ આધાર બચતો નથી. ત્યારથી અત્યારસુધીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલાં કારણમાં કહેવામાં આવ્યું છે કે વસ્તીમાં પરિવર્તન થયું છે. જેનાં કારણે પાણીના કૃષિ અને અન્ય વસ્તુમાં ઉપયોગ બદલાયો છે.

આ ઉપરાંત ભારત હાનિકારણ ગેસ ઉત્સર્જન ખતમ કરીને ક્લીન એનર્જી તરફ આગળ વધવા માગે છે. આ માટે જરૂરી છે કે સિંધ જળ સમજૂતી અનુસાર નદીઓના જળ ઉપર અધિકારને ફરી એક વખત નક્કી કરવામાં આવે. ત્રીજું કારણ બતાવવામાં આવ્યું છે કે સીમા પાર આતંકવાદનાં કારણે સમજૂતીની સારી રીતે અમલવારી થઈ શકતી નથી. તેનાથી ભારત પોતાના અધિકારનો પૂરી રીતે ઉપયોગ કરી શકતું નથી. ભારતની ચિંતા કિશનગંગા અને રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પરિયોજનાને લઈને પાકિસ્તાનના વલણ ઉપર પણ છે. ભારતના કહેવા પ્રમાણે પાકિસ્તાને આ પ્રોજેક્ટમાં અડચણ ઉભી કરી છે જ્યારે ભારતે હંમેશાં જળ સમજૂતીને લઈને ઉદાર વલણ અપનાવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક