નવી
દિલ્હી, તા. 16 : નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના શરૂઆતના 100 દિવસ પૂરા થયા
છે. તેવામાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ 100 દિવસને લઈને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર
શરૂ કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર ઉપર આરોપ મૂકતા કહ્યું
છે કે, સરકારે પેટ્રોલ અન ડીઝલ ઉપર ભારે ટેક્સ લાદીને લોકોને લૂંટયા છે. 10 વર્ષ અને
100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી છે.
કોંગ્રેસે
સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ બતાવ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે 100 દિવસમાં 38 ટ્રેન દુર્ઘટના
થઈ છે અને 21 મૃત્યુ થયા છે. રેલ મંત્રી કહે છે કે, નાની નાની ઘટનાઓ છે. મોદી સરકાર
શરૂઆતી 100 દિવસમાં દરેક મોરચે અસફળ રહી છે. મોટા મોટા પુલ તૂટયા છે, દેશની સંસદમાં
પાણી ટપકે છે, અટલ સેતુ, સુદર્શન સેતુમાં તિરાડ પડી છે. છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટી
છે. આસ્થાના પ્રતીક શ્રીરામ મંદિરની છત ટપકવાની પણ ઘટના બની છે. છેલ્લા 100 દિવસમાં
કાશ્મીરમાં 26 આતંકી હુમલામાં 21 જવાન શહીદ થયા છે અને 15 નાગરીકનાં મૃત્યુ થયાં છે.