મહાકુંભમાં અખાડાઓ સરઘસ સ્વરૂપે
સ્નાન માટે આવ્યા: 10 કિ.મી. સુધી શ્રદ્ધાળુઓની ભીડ
પ્રયાગરાજ, તા.3 : મહાકુંભ ખાતે
સોમવારે ત્રીજું ‘અમૃત સ્નાન’ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં વસંત પંચમીના અવસરે
બે કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
ગયા અઠવાડિયે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત બાદ રોકી દેવાયેલી ભવ્ય
શોભાયાત્રાઓને છૂટ અપાતાં અખાડાઓએ સરઘસ સ્વરૂપે આવીને વર્તમાન મહાકુંભનું અંતિમ અમૃત
સ્નાન કર્યું હતું.
હાથમાં તલવાર-ગદા, ડમરૂ અને શંખ,
શરીર પર રાખ, આંખો પર કાળા ચશ્મા, ઘોડા અને રથની સવારી, હર હર મહાદેવનો જાપ કરતા, સંતો
અને ઋષિઓ સ્નાન માટે સંગમ પહોંચ્યા હતા.
સૌ પ્રથમ પંચાયતી નિરંજની અખાડાના
સંતો સંગમ પહોંચ્યા હતા. ત્યારબાદ કિન્નર અખાડાએ સૌથી મોટા જૂના અખાડા સાથે અમૃત સ્નાન
કર્યું હતું. તમામ 13 અખાડાઓ એક કતારમાં આવ્યા હતા અને સ્નાન કર્યું હતું.
સંતોના આશીર્વાદ મેળવવા માટે
લાખો ભક્તો સંગમ ખાતે ઉમટી પડયા હતા. લોકો નાગા સાધુઓના પગની ધૂળ પોતાના કપાળ પર લગાવતા
જોવા મળ્યા હતા. અમૃત સ્નાન જોવા માટે 30થી વધુ દેશોના લોકો પણ સંગમ પહોંચ્યા હતા.
હેલિકોપ્ટરથી સંગમ પર 20 ક્વિન્ટલ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર
10 કિમી સુધી ભક્તોની ભીડ ઊમટી પડી હતી. લોકો પ્રયાગરાજ જંકશનથી આઠથી 10 કિમી ચાલીને
સંગમ પહોંચી રહ્યા હતા. ભીડને ધ્યાનમાં રાખીને લેટે હનુમાન મંદિર બંધ કરી દેવામાં આવ્યું
હતું. આજે મહાકુંભનો 22મો દિવસ હતો. સાંજે
4 વાગ્યા સુધીમાં 1.98 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ લોકોએ કુંભમાં સ્નાન કર્યું છે.