કૃષિ મંત્રી શિવરાજસિંહે અન્નની ઉપલબ્ધતા અને સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ હોસ્પિટલોની સ્થિતિની સમીક્ષા કરી
નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાને
જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હુમલો કરતા ભારતીય રક્ષા પ્રણાલીએ તાકીદે
તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા. જ્યારે પલટવારમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દેવામાં
આવી છે. બન્ને દેશ વચ્ચે વર્તમાન સમયે સંઘર્ષની સ્થિતિ બની છે ત્યારે ગૃહ મંત્રાલયે
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવો અને પ્રશાસકોને સુરક્ષા ઉપાયો
માટે નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો
સિવિલ ડિફેન્સ રુલ્સ હેઠળ ઈમર્જન્સી પાવરનો ઉપયોગ કરી શકે છે.
બીજી તરફ કૃષિ મંત્રી શિવરાજસિંહ
ચૌહાણે દેશમાં અન્નની ઉપલબ્ધતા મુદ્દે એક સમીક્ષા
બેઠક કરી હતી. ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે કૃષિ વિભાગની દ્રષ્ટિએ જવાબદારી
ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. ભારતના કૃષિ ભંડાર ભરેલા છે. જેમાં ઘઉં, ચોખા સહિતની
વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ ભારત-પાકિસ્તાન
તણાવ દરમિયાન દેશની હોસ્પીટલોમાં સ્વાસ્થ્ય માળખાની તૈયારીની સમીક્ષા કરી હતી. બેઠક
દરમિયાન સ્વાસ્થય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ નડ્ડાને સ્વાસ્થ્ય સુરક્ષાની તૈયારીની
જાણકારી આપી હતી.