જો શાંતિ વાટાઘાટ સફળ નહીં થાય
તો ફરીથી હુમલા કરવાની ધમકી પણ આપી
નવી દિલ્હી, તા.28: અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર હુમલા રોકવાનાં આદેશ બાદ હવે દાવો કર્યો છે કે,
અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં સૌહાર્દપૂર્ણ વાતચીત ચાલી રહી છે. જોકે સાથોસાથ એવું
પણ ઉમેર્યુ હતું કે, જો કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરીથી સૈન્ય કાર્યવાહી કરી
શકે છે. ટ્રમ્પે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, અમે ઈરાન ઉપર ભારે દબાણ બનાવી
રહ્યા છીએ પરંતુ તેનું શું પરિણામ આવે છે તે જોવું પડશે. હાલમાં તેમની સાથે અમારી ખૂબ
જ સૌહાર્દપૂર્ણ વાતચીત ચાલી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાને અમેરિકા પાસે
તેની નૌકાબંધી હટાવવાની વિનંતી કરી છે. ટ્રમ્પે ઈરાન પર સતત 13 દિવસ સુધી થયેલા હુમલાઓ
બાદ આગળની સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પનું કહેવું છે કે,
ઈરાને અમેરિકા સાથે બેઠક યોજવાની વિનંતી કરી છે, પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો સૈન્ય
વિકલ્પ ફરી અપનાવવામાં આવી શકે છે. અહેવાલ મુજબ, 18 જૂને ઈરાન અને અમેરિકાએ 28 ફેબ્રુઆરીથી
ચાલી રહેલા ઘર્ષણને સમાપ્ત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ
8 જુલાઈથી અમેરિકી સેનાએ ઈરાન પર અનેક તબક્કામાં હુમલા કર્યા હતા.