રાષ્ટ્રીય રાજકારણમાં યુવાવર્ગ ચર્ચાના કેન્દ્રસ્થાને
(િવશેષ પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી, તા. 28 ઃ સંસદના ચોમાસુ અધિવેશનની સાથે જ દેશભરમાં કેટલાય રસપ્રદ રાજકીય ઘટનાક્રમ આકાર લઇ રહ્યા છે. સંસદમાં શાસન, પારદર્શિતા અને જનહીતના મુદાઓ રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં છે. જો કે મુખ્યત્વે પરીક્ષા પદ્ધતિમાં સુધારા, યુવા વર્ગ સાથે જોડાયેલી ચિંતા અને આ મુદે શાસક-િવપક્ષ વચ્ચે ટકકર સંસદમાં મુખ્ય વિષય રહ્યો છે. સંસદના ચોમાસુ અધિવેશનમાં દેશના યુવાવર્ગ સાથે જોડાયેલા મુદા કેન્દ્રસ્થાને આવી ગયા છે.
ચોમાસુ અધિવેશન વખતે જ દેશભરમાં પેપરલીક મુદે વિદ્યાર્થીઓનું આંદોલન અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર
પ્રધાને રાજીનામું આપ્યા બાદ સરકાર પરીક્ષા વ્યવસ્થામાં બદલાવ માટે આગળ વધી રહી છે. સાર્વજનિક પરીક્ષાઓમાં અનિયમિતતાઓ અને પેપરલીક જેવી ઘટનાઓ રોકવા માટે સાર્વજનિક પરીક્ષા (સંશાધનોનો દૂરૂપયોગ રોકવા) સંશોધન વિધેયક 2026ને સંસદમાં રજૂ કરાતા જ દેશના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પ્રસ્તાવિત બિલથી પરીક્ષાઓમાં પારદર્શિતા આવશે અને પેપરલીક જેવી ઘટનાઓને અંજામ દેનારા તત્ત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી થશે. વિપક્ષનો તર્ક છે કે માત્ર કાયદા બદલવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે પરંતુ પરીક્ષા સંચાલનમાં સમગ્ર વ્યવસ્થામાં સુધારો અને જવાબદારી નક્કી કરવી પણ જરૂરી છે.
દેશના અન્ય રાજ્યોમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગરબડો, પેપરલીક અને ભરતી પ્રક્રિયાઓમાં અનિયમિતતાના આરોપસર દેખાવો કરી રહ્યા છે. આવા દેખાવોથી યુવાવર્ગ બેરોજગારી, પરીક્ષાઓની ઘટતી જતી વિશ્વસનિયતા અને યુવાવર્ગના ભવિષ્ય જેવા મુદા રાજકીય ચર્ચામાં લાવવા માગે છે. સરકારે સમય પારખીને પરીક્ષામાં સુધારા લાવવા પહેલ કરી છે પરંતુ વિપક્ષ માગ કરી રહ્યો છે કે જવાબદાર અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઇએ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે ફુલપ્રૂફ વ્યવસ્થા જરૂરી છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ પણ એ મુદે રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. વિપક્ષે આને પરીક્ષા વિવાદ સાથે જોડીને સરકારની જવાબદારી ઉપર સવાલો કર્યા છે. જો કે સરકાર પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે કટિબદ્ધ છે. સરકારે બિલ રાખ્યા બાદ વિપક્ષ દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પોલીસની આકરી કાર્યવાહી અને પ્રશાસનિક નિર્ણયો સામે આક્રમક છે. કૉંગ્રેસ સહિતના પક્ષો આ મામલે જવાબદારીની માગણી કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે દેશના યુવાવર્ગની ચિંતાઓ પ્રત્યે સરકાર સંવેદનશીલ છે અને જરૂરી સુધારા માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. ટૂંકમાં સંસદના આ અધિવેશનમાં દેશનો યુવાવર્ગ રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે. કદાચ એટલે જ સંસદમાં આ બિલની ચર્ચામાં શાસક-િવપક્ષ બંને તરફથી યુવા સાંસદોને બોલવાની તક આપવામાં આવી છે.
-----------------
‘િબલ્કીસનાં ગુનેગારોનો બચાવ
કરનારને ભાજપે શિક્ષામંત્રી બનાવ્યા’
નવા શિક્ષણમંત્રી અને સરકાર સામે રાહુલ, પ્રિયંકાનો હુમલોઃ સંસદમાં હંગામો
નવી દિલ્હી, તા.28ઃ બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ વિશે આપેલા એક જૂના નિવેદનને કારણે દેશના નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી વિપક્ષના નિશાન ઉપર આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બન્નેએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. સંસદમાં પ્રિયંકાને આ વિશેના વિધાન પછી ભારે હંગામો મચી ગયો હતો અને શાસક પક્ષ તરફથી પ્રિયંકા માફી માગે તેવી માગણી પણ ઉઠાવવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રહ્લાદ જોશીને નવા શિક્ષણ મંત્રી બનાવવાના નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં આ નિર્ણયને લઈને વડાપ્રધાન પર સવાલો ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિના સમયે પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે, મને તેમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. મંત્રીએ દલીલ કરી હતી કે લાંબો સમય જેલમાં રહેલા દોષિતોની મુક્તિ માટે કાયદામાં જોગવાઈઓ ઉપલબ્ધ છે.
પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવાના નિર્ણયનો વિરોધ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આટલા બધા યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ઘણી યુવતીઓ પણ પ્રદર્શન કરી રહી હતી. તેમને માર મારવામાં આવ્યો. ભાજપે એવા વ્યક્તિને બેસાડ્યા છે જે બળાત્કારીઓના રક્ષક છે, જે સૌથી ખરાબ વ્યક્તિ છે.
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે, જે વ્યક્તિ એવું કહે કે બળાત્કારીઓને સુરક્ષાની જરૂર છે, તેનાથી વધુ ખરાબ કોઈ હોઈ શકે નહીં. આ ભારતના શિક્ષણ મંત્રી છે. આ આશ્ચર્યજનક બાબત છે. વડાપ્રધાનના મંત્રીમંડળમાં ઘણા લોકો હતા અને તેઓ કોઈને પણ પસંદ કરી શકતા હોત પરંતુ તેમણે એવા વ્યક્તિની પસંદગી કરી જે બળાત્કારીઓને રક્ષણ આપે છે. આ ખૂબ જ ચોંકાવનારું છે.
પ્રિયંકા ગાંધીએ પણ સંસદમાં પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવાના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રીની પસંદગી કરી અને એવા વ્યક્તિને સત્તા સોંપી છે, જેમણે એક ગર્ભવતી મહિલાના બળાત્કારીઓની મુક્તિને સમર્થન આપ્યું હતું. દેશની કરોડો દીકરીઓને વડાપ્રધાને શું સંદેશ આપ્યો છે?
ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીકના વિરોધ વચ્ચે વિપક્ષની માંગ બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 25 જુલાઈએ
તેમના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે.