હમાસે ચાર વર્ષની અનાથ બાળકી સહિત 13 બંધક આઝાદ કર્યા
બંધકોની વ્યથા : સૌને ભૂખ્યા રાખ્યા: યુદ્ધવિરામ લંબાવવા પ્રયાસો
તેલ અવીવ, તા. 27 : યુદ્ધ વિરામના ત્રીજા દિવસે ઈઝરાયલે 39 પેલેસ્ટાઈની કેદીઓને મુક્ત કર્યા હતા, તો હમાસ દ્વારા એક ચાર વરસની અનાથ બાળકી સહિત 13 ઈઝરાયલી બંધકોને આઝાદ કરાયા હતા.
દરમ્યાન ઈઝરાયલની સેનાએ રવિવારની મોડી રાત્રે એક બેઠક યોજીને ચાર દિવસની શાંતિ બાદ ફરી યુદ્ધ છેડવાની યોજના ઘડી હતી.
યુદ્ધવિરામ પૂરો થતાંની સાથે ગાઝા પર ફરી હુમલા શરૂ થઈ જશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વધુ એકવાર કહ્યું હતું કે, હમાસનો સંપૂર્ણ ખાતમો થયા પછી જ અમે અટકશું.
ઈઝરાયના સૈનિકોએ કહ્યું હતું કે, યુદ્ધમાં અમારા ત્રણ લક્ષ્ય છે. પ્રથમ લક્ષ્ય હમાસનો નાશ કરવાનું છે. બંધકોની સલામત વાપસી બીજું અને ત્રીજું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે, ગાઝા ફરીવાર કદી પણ ઈઝરાયલ માટે ખતરો ન બને.
દરમ્યાન અમેરિકી મીડિયા ગૃહ સીએનએનના અહેવાલ અનુસાર અનેક બંધકોએ આઝાદ થયા બાદ કહ્યું હતું કે, ‘હમાસ’ના આતંકીઓએ સૌને ભૂખ્યા રાખ્યા હતા.
પૂરતું ભોજન નહીં મળવાથી અનેક બંધકોનાં વજનમાં પાંચ કિલો સુધીનો ઘટાડો દોઢ મહિનાના ગાળામાં આવી ગયો છે. દરમ્યાન આ યુદ્ધ વિરામનો સમયગાળો હજુ પણ લંબાવવા માટે અમેરિકા, ઈજિપ્ત અને કતાર ઈઝરાયલ પર દબાણ કરી રહ્યા છે.
યુદ્ધવિરામ વચ્ચેય વેસ્ટ બેન્કમાં રહેતા ઈઝરાયલના લોકો ત્યાંના પેલેસ્ટાઈની લોકોની જમીન છીનવી કબ્જો કરી રહ્યા છે. અનેક ઘરો સળગાવી રહ્યાં છે, તેવા અહેવાલ પણ મળ્યા હતા.