પાક.હુમલામાં નહીં, ટેકનિકલ કારણે ક્રેશ થયું : ફ્રાંસની કંપનીનો ખુલાસો
પેરિસ,
તા.8 : પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતે ગત 7 મેના રોજ છેડેલા ઓપરેશન સિંદૂર દરમિયાન
પાકિસ્તાને ભારતના રાફેલ લડાકુ વિમાન તોડી પાડયાના કરેલા દાવાની એક પછી એક પોલ ખુલી
રહી છે. હવે સ્પષ્ટ થયું છે કે ભારતે એક રાફેલ ગુમાવ્યું હતું જે પાકિસ્તાનના હુમલામાં
નહીં પરંતુ ટેકનિકલ કારણોસર. આવો ખુલાસો ખૂદ રાફેલ બનાવતી કંપનીએ કર્યો છે. પાકિસ્તાને
ભારતના 3 રાફેલ તોડયાનો બફાટ કર્યો હતો જે ખોટો સાબિત થયો છે.
રાફેલ
લડાકુ વિમાન બનાવતી ફ્રાંસની કંપની દસો એવિએશને દાવો કર્યો છે કે પાકિસ્તાને ભારતનું
કોઈ રાફેલ વિમાન તોડી પાડયું નથી. ફ્રાંસીસી મીડિયામાં દસો એવિએશનના પ્રમુખ અને સીઈઓ
એરિક ટ્રૈપિયરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક રાફેલ વિમાનમાં ઉંચાઈએ ગયા બાદ ટેકનિકલ
ફોલ્ટ આવ્યો હતો જેને કારણે તે ક્રેશ થયું હતું. સૈન્ય સંઘર્ષ દરમિયાન તે તોડી પાડવામાં
આવ્યું નથી. આ સિવાય ચીને પણ રાફેલની અસરકારકતા અંગે ભ્રમની સ્થિતિ ફેલાવતાં કંપનીએ
ચીનની ઝાટકણી કાઢી છે. રાફેલના વેચાણને અસર થાય તેવા બદનામી ભર્યા દાવા અને અહેવાલો
વહેતા કરાયા હતા. ફ્રાંસના ગુપ્તચર સેવાના રિપોર્ટ અનુસાર ચીની દૂતાવાસોમાં રાફેલને
બદનામ કરવાની જવાબદારી સોંપીને અભિયાન ચલાવાયું હતુ. ચીનનો ઉદ્દેશ એ દેશોને ભ્રમમાં
નાંખવાનો હતો જેમણે રાફેલ માટે ઓર્ડર આપ્યો છે.
આ પહેલા
મીડિયા સાથે વાતચીતમાં સંરક્ષણ સચીવ આરકે સિંહે કહયુ હતુ કે એવુ કહેવું અયોગ્ય છે કે
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના રાફેલ લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. રાફેલ્સનો
ઉપયોગ બહુવચનમાં કરાયો છે અને હું ભરોસો આપું છું કે તે સત્ય નથી. ભારતની તુલનાએ પાકિસ્તાનને
જાનમાલનું અનેક ગણું નુકસાન થયું છે. ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદી મર્યા છે.